મિયાઝાકી મેંગો:MPના કપલે દુનિયાની સૌથી મોંઘી કેરીના આંબાનું રક્ષણ કરવા 4 ગાર્ડ અને 6 ડોગ્સ રાખ્યા, કિલો કેરીની કિંમત 2.5 લાખ
- ગયા વર્ષે આ કપલના ગાર્ડનમાં આવેલા આંબા પરથી ચોર કેરી લઈને ભાગી ગયા હતા
- ગયા વર્ષે ઇન્ટરનેશનલ માર્કેટમાં મિયાઝાકી કેરી 2.70 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી
- ઉનાળો આવતાંની સાથે કેરીની સીઝન ચાલુ થઈ જાય છે. કેરીના રસિયાઓ આ સીઝનમાં મન ભરીને કેરી ખાય છે. શું તમે 2.70 લાખ રૂપિયાની કિલો કેરી મિયાઝાકી વિશે સાંભળ્યું છે? મધ્યપ્રદેશના કપલે તેમના બગીચામાં આ જાપાનના મિયાઝાકી શહેરની કેરી વાવી છે. બે આંબાનું રક્ષણ કરવા માટે તેમણે ચાર ગાર્ડ અને 6 ડોગ્સને ઊભા રાખ્યા છે. ગયા વર્ષે ચોર તેમના આંબા પરથી કેરી ચોરીને લઇ ગયા હતા, આથી તેમણે આ વખતે આ આઈડિયા વિચાર્યો.
- બે આંબા પર 7 કેરી આવી છે
જબલપુરમાં રાની અને તેના પતિ સંકલ્પ પરિહરે આ મૂલ્યવાન કેરીના આંબાનું વાવેતર કર્યું છે. આ કેરીની છાલનો રંગ કેસરી નહીં પણ જાંબુડિયો હોય છે. દુનિયાની સૌથી મોંઘી કેરીમાં મિયાઝાકીનું નામ પહેલું આવે છે. આ કેરીને એગ્સ ઓફ ધ સન પણ કહેવાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે ઇન્ટરનેશનલ માર્કેટમાં આ કેરી 2.70 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. મધ્યપ્રદેશના કપલે બે આંબા અને તેના પર આવેલી 7 કેરીનું રક્ષણ કરવા ગાર્ડ રાખ્યા છે. -
મિયાઝાકી કેરી વાવ્યાની સ્ટોરી ખૂબ રસપ્રદ છે
આ રેર વેરાઇટીની કેરી વાવવા વિશે સંકલ્પ પરિહરે કહ્યું, એકવાર હું ટ્રેનમાં ચેન્નઈથી થોડા છોડ ખરીદવા જઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા ભાઈએ મને એક રોપ આપ્યો અને મને એ રોપને વાવવા અને તેનું જતન એક બાળકની જેમ કરવા કહ્યું. આ રોપ મિયાઝાકી કેરીનો છે એ મને ખબર જ નહોતી. કઈ વેરાઇટીની કેરીનો આ છોડ છે એ જાણ્યા વગર જ અમે તેની દેખભાળ કરી. પછી અમને ખબર પડી કે આ તો મિયાઝાકી કેરી છે. મેં કેરીને મારી મમ્મીનું નામ ‘દામિની’ આપ્યું છે. દુનિયા માટે ભલે એ મિયાઝાકી મેંગો હોય, પણ મારા માટે તો તે દામિની જ છે અને રહેશે.ગ્રાહકો હજારો રૂપિયા આપવા તૈયાર છે
સંકલ્પની પત્ની રાનીએ કહ્યું, દેશ-દુનિયાના ઘણા લોકો અમને આ કેરી ખરીદવા માટે ફોન કરી રહ્યા છે. હાલમાં એક મુંબઈના જ્વેલરી એક કેરીના 21 હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયા હતા, પણ અમે ના પાડી. આંબા પર આ કેરી વ્યવસ્થિત રીતે પાકે નહીં ત્યાં સુધી અમે તેને કોઈપણ ગ્રાહકને નહીં વેચીએ. -
મિયાઝાકી કેરીની ખાસિયતો:
- આ કેરી જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે.
- એક કેરીનું વજન 350 ગ્રામ હોય છે અને નોર્મલ મેંગો કરતાં મિયાઝાકીમાં 15% વધારે શુગર હોય છે.
- આ કેરી એન્ટિઓક્સિડન્ટસ અને બેટા-કેરોટિન, ફોલિક એસિડથી ભરપૂર હોય છે. આંખની તકલીફ ધરાવતા લોકો માટે આ ફાયદાકારક છે.
- એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન આ કેરી ઊગે છે.
- ( Source - Divyabhaskar )