પાકિસ્તાનની ભારતને ધમકી : જો ભારતે કાશ્મીરમાં બીજુ કોઈ પગલુ ભર્યું તો

પાકિસ્તાનની ભારતને ધમકી : જો ભારતે કાશ્મીરમાં બીજુ કોઈ પગલુ ભર્યું તો

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હફીઝ ચૌધરીએ કહ્યું કે ભારતે કાશ્મીરમાં પોતાની ગેરકાયદેસર અને અસ્થિર કરનારી કાર્યવાહીઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતને ધમકી આપી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જો ભારતે કાશ્મીરમાં બીજુ કોઈ પગલુ ભર્યું તો સમગ્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા માટે ખતરો સર્જાશે. પાકિસ્તાને ગુરુવારે કાશ્મીર બાબતે કોઈ બીજુ પગલુ ભરવા અંગે ભારતને ચેતવણી આપતા કહ્યું કે તે ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે.

ભારતે કાશ્મીર મુદ્દે પ્રસ્તાવોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ
સપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હફીઝ ચૌધરીએ કહ્યું કે ભારતે કાશ્મીરમાં પોતાની ગેરકાયદેસર અને અસ્થિર કરનારી કાર્યવાહીઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ. ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)ના પ્રસ્તાવોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. જોકે પાકિસ્તાનના આ નિવેદન પર ભારતે હાલ કોઈ પણ પ્રક્રિયા જાહેર કરી નથી. પરંતુ ભારત પહેલેથી કહેતુ આવ્યું છે કે કાશ્મીર તેનો આંતરિક મામલો છે અને પાકિસ્તાનને આ અંગે બોલવાનો કોઈ હક નથી.

પાકિસ્તાન કાશ્મીરના વિભાજનના ભારતીય પ્રયત્નોનો વિરોધ કરવાનુ ચાલુ રાખશે
એક મીડિયા રિપોર્ટ મુજબ હાફિઝ ચૌધરીએ કહ્યું કે પાકિસ્તાન એક વિવાદિત ક્ષેત્રના રૂપમાં કાશ્મીરના વિભાજનના ભારતીય પ્રયત્નોનો વિરોધ કરવાનુ ચાલુ રાખશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એક દિવસ પહેલા યુએનએસસીના અધ્યક્ષ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને પત્ર લખ્યો હતો, જેથી સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વને આ ઘટનાક્રમો પર પાકિસ્તાને જાહેર કરેલી ચિંતાઓ વિશે જાણ રહે.

વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને જાણકારી આપતા ગંભીર ચિંતા વ્યક્ત
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રને જાણકારી આપતા ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ભારત કાશ્મીરમાં ફરીથી કઈક મોટુ કરી શકે છે. પાકિસ્તાના વિદેશ મંત્રાલય તરફથી બુધવારે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત કાશ્મીરમાં ફરીથી ગેરકાયદેસર અને એક તરફી પગલુ ઉઠાવી શકે છે. ફરીથી વિભાજન અને ત્યાંની વસ્તીને બદલવા માટે કઈક કરવામાં આવી શકે છે.

અમે કાશ્મીરના લોકોની શકય તમામ મદદ કરીશું
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી નિયમિત રીતે સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને કાશ્મીરની ગંભીર સ્થિતિથી પરિચિત કરવા માટે પત્ર લખી રહ્યાં છે. પાકિસ્તાનના પ્રવક્તાએ કહ્યું કે તેમનો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પ્રાસંગિક યુએનએસસી પ્રસ્તાવો મુજબ કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ અને ન્યાયસંગત સમાધાન માટે પોતાની જવાબદારીની યાદ અપાવી રહ્યો છે. જાહિદ હાફિઝ ચૌધરીએ કહ્યું કે અમે કાશ્મીરના લોકોને તેમના આત્મનિર્ણયના અધિકાર માટે તેમના ન્યાયસંગત સંઘર્ષમાં શકય તેટલી તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પર કાયમ છે.

છેલ્લા થોડા સમયથી પાક. કાશ્મીર અને ભારતના સંબંધો અંગેના મુદ્દા ઉઠાવે છે
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે ભારત કાશ્મીરમાં ફરીથી ગેરકાયદેસર અને એક તરફી પગલુ ભરી શકે છે. ફરીથી વિભાજન અને ત્યાંની વસ્તીની બદલવા માટે કઈ પણ કરવામાં આવી શકે છે. તાજેતરના રિપોર્ટ પરથી આ અંગેના સંકેત મળ્યા છે. પાકિસ્તાન તેને લઈને ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન કાશ્મીર અને ભારતના સંબંધો અંગેના મુદ્દાઓને વારંવાર ઉઠાવી રહ્યું છે. જોકે ભારત તરફથી પાકિસ્તાનના આ નિવેદનો પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રોયટર્સ સાથેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો ભારત કાશ્મીરને લઈને રોડમેપ રજૂ કરે છે તો પાકિસ્તાન તેની સાથે ચર્ચા કરવા તૈયાર છે. જોકે પીએમ ઈમરાન ખાનના આ નિવેદનને ભારતે ગણકાર્યું નથી.