ભારતમાં યુએસ કોન્સ્યૂલેટમાં ૧૬ માર્ચથી તમામ વિઝા કામગીરી બંધ

ભારતમાં યુએસ કોન્સ્યૂલેટમાં ૧૬ માર્ચથી તમામ વિઝા કામગીરી બંધ

। નવી દિલ્હી ।

અમેરિકાની સરકારે કોરોનાનો વ્યાપ વિસ્તરતા આખા અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે ત્યારે ભારતમાં આવેલી અમેરિકાની તમામ એમ્બેસી અને કોન્સ્યૂલેટમાં ૧૬ માર્ચથી તમામ વિઝા કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અમેરિકાની એમ્બેસીએ જાહેર કર્યું હતું કે, કોવિડ -૧૯ મહામારીને કારણે ૧૬ માર્ચ ૨૦૨૦થી તમામ પ્રકારની ઈમિગ્રન્ટસ અને નોન ઈમિગ્રન્ટસ વિઝા એપોઈન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. ભારતમાં જ્યારથી ફરી કામગીરી શરૂ કરાય તે પછી વિઝા ઈચ્છુકોને નવેસરથી એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે અને તેને રિશિડયૂલ કરી શકાશે. ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલાં પ્રસારને ધ્યાનમાં રાખીને અમેરિકી દૂતાવાસ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ભારતીય વિદ્યાર્થી કેમ્પસ એકોમોડેશન માટે અરજી કરે

અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે તે યુનિવર્સિટી દ્વારા કેમ્પસ ખાલી કરવાનું કહેવામાં આવે તો તેમણે કેમ્પસનાં મકાનોમાં જ રહેવા માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે. જો કેમ્પસમાં રહેવાની અરજી કરાઈ ન હોય કે અરજી સ્વીકારવામાં આવી ન હોય તો તેવા કિસ્સામાં ભારતીય વિદ્યાર્થીઓએ વૈકલ્પિક નિવાસ શોધવા માટે જે તે યુનિવર્સિટીનો સંપર્ક કરવો અથવા તો નેટવર્કનો સંપર્ક સાધવો. હેલ્થ સારવાર માટે અને હેલ્થ વીમા માટે જે તે યુનિવર્સિટીનાં અધિકારીઓનો સંપર્ક કરવો.

યુએસમાં શાળા-કોલેજો ૪ સપ્તાહ જ બંધ રહેશે

અમેરિકાની સરકારને આશા છે કે સ્કુલો અને કોલેજો બે કે ચાર અઠવાડીયા સુધી જ બંધ રહેશે. આ પછી સ્કુલો અને કોલેજો ખુલતા વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસ શરૂ કરી શકશે. સરકારે કેટલાક સંજોગોમાં ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે વ્યવસ્થા કરી છે પણ વિદ્યાર્થીઓને આ વેકેશનને સ્પ્રિંગ કે સમર બ્રેક ગણવા સલાહ અપાઈ છે. જો ક્લોઝર વધુ સમય માટે એટલે કે બે- ચાર મહિનાઓ માટે ચાલુ રહે તો તેવા સંજોગોમાં સ્ટુડન્ટસ એક્સચેન્જ વિઝિટર્સ પ્રોગ્રામ દ્વારા વધારાનું શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે.