ભારતના કૃષિ સુધારા આવકાર્ય, બજારને વધુ કાર્યક્ષમ બનાવશે : અમેરિકા

ભારતના કૃષિ સુધારા આવકાર્ય, બજારને વધુ કાર્યક્ષમ બનાવશે : અમેરિકા

। વોશિંગ્ટન ।

ભારત સરકાર દ્વારા ઘડાયેલા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વિશ્વભરમાં ચર્ચા જગાવી રહ્યું છે. મોદી સરકારને રાહત આપતા એક સમાચારમાં અમેરિકાએ ભારતમાં હાથ ધરાયેલા કૃષિ કાયદાઓને સમર્થન આપ્યું છે તો સાથે સાથે ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનની પણ તરફેણ કરી છે. અમેરિકી પોપ સ્ટાર રિહાના, સ્વીડિશ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થર્નબર્ગ સહિતની સેલિબ્રિટીઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં આગળ આવ્યા બાદ ખેડૂત આંદોલન પર પુછાયેલા એક સવાલના જવાબમાં અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા ભારતીય બજારોની કાર્યક્ષમતા સુધારતા અને પ્રાઇવેટ સેક્ટરનું મૂડીરોકાણ આકર્ષતા પગલાંને આવકારે છે. અમેરિકાનું આ નિવેદન સંકેત આપે છે કે નવી બાઇડેન સરકાર ભારત સરકાર દ્વારા ખાનગી મૂડીરોકાણને આકર્ષતા અને ખેડૂતોને વ્યાપક બજારના લાભ આપતા કૃષિ ક્ષેત્રમાં કરાયેલા સુધારાને સમર્થન આપે છે.

બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, લાલ કિલ્લા ઉપર થયેલો હુમલો અમેરિકી કેપિટલ હિંસા જેવો જ છે. ખેડૂત આંદોલન પર અમેરિકી સરકારના નિવેદનની નોંધ લીધી છે. આ પ્રકારની ટિપ્પણી તેમની સંપુર્ણતામાં લેવી જોઇએ. અમેરિકાએ ભારત સરકાર દ્વારા કરાયેલા કૃષિ સુધારાને આવકાર્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારતના  ખેડૂત આંદોલનની પણ તરફેણ કરી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે લોકશાહીમાં કોઈપણ પ્રકારના શાંતિપૂર્ણ આંદોલનને સમર્થન આપીએ છીએ. ભારતની સુપ્રીમ કોર્ટે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. અમે ઇચ્છીએ છે કે તમામ મતભેદોનો ઉકેલ મંત્રણા દ્વારા લાવવો જોઈએ. ખેડૂતોને ઇન્ટરનેટ સુવિધા સ્થગિત કરવા પર અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટની ઉપલબ્ધતા અને ઇન્ફર્મેશન અવિરત રીતે મળતી રહે તે વાણી સ્વાતંત્ર્યનો અને ધબકતી લોકશાહીનો મૂળભૂત અધિકાર છે.

બ્રિટિશ સંસદમાં ભારતીય ખેડૂતોના આંદોલન પર ચર્ચાની માગ કરતી પિટિશન પર પીએમ જોન્સન સહિત ૧,૦૬,૦૦૦ના હસ્તાક્ષર

ભારતમાં ખેડૂત આંદોલન પર બ્રિટનની સંસદમાં ચર્ચાની સંભાવના

બ્રિટનની સંસદમાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર ચર્ચા કરાય તેવી સંભાવના છે. તે માટે કરાયેલી એક ઓનલાઇન પિટિશનમાં એક લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યાં છે. હવે બ્રિટિશ સંસદની પિટિશન કમિટી ચર્ચા અંગેનો નિર્ણય લેશે. બ્રિટિશ સંસદમાં ભારતમાં મીડિયાની સ્વતંત્રતા પર મારવામાં આવી રહેલી તરાપ પર પણ ચર્ચા કરાશે. આ પિટિશન પર બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનના પણ હસ્તાક્ષર છે.

અમેરિકાના સંખ્યાબંધ સાંસદોએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું

અમેરિકાના સંખ્યાબંધ સાંસદો ખેડૂત આંદોલનના સમર્થનમાં આગળ આવ્યાં છે. સાંસદ હેલી સ્ટિવન્સે જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ સુધારાનો વિરોધ કરી રહેલા શાંતિપૂર્ણ આંદોલનકારીઓ સામે પગલાંથી હું ચિંતિત છું. સાંસદ ઇલ્હાન ઓમરે જણાવ્યું હતું કે, ભારતે ખેડૂતોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. ઇન્ટરનેટની સુવિધા અટકાવવી જોઈએ નહીં અને રિપોર્ટિંગ કરતી વખતે અટકાયતમાં લેવાયેલા પત્રકારોને મુક્ત કરવા જોઈએ.

ISISનો નવો વડો શિહાબ અલ મુહાજિર હવે ભારતમાં હુમલા કરવાની ફિરાકમાં : યુએન

વૈશ્વિક ત્રાસવાદી સંગઠનઇસ્લામિક સ્ટેટ(આઈએસઆઈએસ) ઇરાકના નવા નેતા તરીકે શિહાબ અલ મુહાજિરને બનાવવામાં આવ્યો છે. આ મુહાજિર હવે ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, માલદીવ અને શ્રીલંકામાં ત્રાલવાદી સંગઠનને ઓપરેટ કરશે. એટલું જ નહીં આ ત્રાસવાદી સંગઠનનો સંપર્ક ખતરનાક હક્કાની નેટવર્ક સાથે પણ રહ્યો છે, તેમ સંયુક્ત રાષ્ટ્ર(યુએન)ના મહાસચિવ એંટોનિયો ગેટેરેસના એક અહેવાલમાં જણાવાયું હતું. યુએન મહાસચિવના આ ૧૨મા રિપોર્ટમાં ખતરનાક આઈએસઆઈએસ તરફથી તોળાતા ખતરા બાબતે પણ જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ કહે છે કે હાલમાં અફઘાનિસ્તાનના ઘણા પ્રાંતોમાં આઈએસઆઈએસના ૧,૦૦૦-૧,૫૦૦ જેટલા ત્રાસવાદીઓ હજુ પણ પથરાયેલાં છે.

( Source – Sandesh )