ખેડૂત આંદોલન પર કેનેડાના PMની ટિપ્પણીથી ભારત નારાજ, હાઇ કમિશનરને આપ્યું સમન્સ

ખેડૂત આંદોલન પર કેનેડાના PMની ટિપ્પણીથી ભારત નારાજ, હાઇ કમિશનરને આપ્યું સમન્સ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કિસાન આંદોલન પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. શુક્રવારે નવી દિલ્હી સ્થિત કેનેડાના હાઇ કમિશનર નાદિર પટેલને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ખેડૂતોના મુદ્દે કેનેડાના નેતાઓની ટિપ્પણી એ અમારો આંતરિક મામલો છે, જેમાં કોઈપણ દેશનો હસ્તક્ષેપ સાંખી ન શકાય.

મંત્રાલયે ઉચ્ચાયુક્તને કહ્યું હતું કે ભારતીય ખેડૂતોના સંબંધે કેનેડાના વડાપ્રધાન, કેટલાક કેબિનેટ મંત્રીઓ અને સંસદ સભ્યોની ટિપ્પણી અમારા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ છે, જેને કોઈપણ રીતે સ્વીકારી ન શકાય.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું, જો આ પ્રકારની ટિપ્પણી યથાવત્ રહેશે તો એનો ભારત અને કેનેડાના સંબંધો પર ગંભીર રીતે હાનિકારક પ્રભાવ પડી શકે છે. આ ટિપ્પણીઓએ કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સની સામે ચરમપંથીઓની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કર્યા છે, જે સુરક્ષાના મુદ્દે અનેક સવાલો ઊભા કરે છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે અમે કેનેડાની સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ભારતીય એમ્બેસીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.

શું કહ્યું હતું જસ્ટિન ટ્રુડોએ?
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન પર ટિપ્પણી કરી હતી. કેનેડાના PMએ કહ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શનો પર અધિકારીની રક્ષા માટે કેનેડા હંમેશાં ઊભું રહેશે. તેમણે પોતાના નિવેદનમાં ભારતીય ખેડૂતોનું સમર્થન કરતાં કહ્યું હતું કે દેશમાં સ્થિતિ ચિંતાજનક છે.

ગુરુનાનક દેવની 551મી જન્મજયંતીના ઉપક્રમે એક ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવતાં પ્રદર્શનો અંગે ભારતથી સમાચારો આવી રહ્યા છે. સ્થિતિ ચિંતાજનક છે અને અમે બધા અમારા પરિવાર અને મિત્રોને લઈને ઘણા જ ચિંતિત છીએ. મને ખ્યાલ છે કે તમારામાંથી અનેક લોકો માટે આ એક વાસ્તવિકતા છે. હું તમને યાદ અપાવી દઉં કે શાંતિપૂર્ણ પ્રદર્શનોના અધિકારોની રક્ષા માટે કેનેડા હંમેશાંથી સાથે જ છે.