બાબરી વિધ્વંસ કેસ : અડવાણી સહિત તમામ 32 આરોપી નિર્દોષ જાહેર

બાબરી વિધ્વંસ કેસ : અડવાણી સહિત તમામ 32 આરોપી નિર્દોષ જાહેર

। લખનઉ ।

અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં બુધવારે લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષથી મેરેથોન અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં સીબીઆઇ દ્વારા મુખ્ય આરોપી ગણાવાયેલા પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી મુરલી મનોહર જોશી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ભાજપ અને વિહિપના નેતાઓ સહિતના તમામ ૩૨ આરોપીને નિર્દોષ જાહેર કર્યાં હતાં. બુધવારે જ નિવૃત્ત થઈ રહેલા વિશેષ સીબીઆઇ અદાલતના જજ સુરેન્દ્રકુમાર યાદવે ૨,૩૦૦ પાનાંના ચુકાદામાં જણાવ્યું હતું કે, પુરાવાના અભાવે તમામ ૩૨ આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. સીબીઆઇ તેના જ દ્વારા રજૂ કરાયેલા ઓડિયો અને વીડિયો પુરાવાની અધિકૃતતા પુરવાર કરી શકી નથી. બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના પૂર્વનિયોજિત નહોતી. આરોપીઓ દ્વારા મસ્જિદ તોડી રહેલા અસામાજિક તત્ત્વોને રોકવાનો પ્રયાસ કરાયો હતો.

બુધવારે સવારે લખનઉ સ્થિત સીબીઆઇ અદાલતમાં કુલ ૩૨ પૈકીના ૨૬ આરોપી રૂબરૂ અદાલતમાં હાજર રહ્યાં હતાં પરંતુ આરોગ્ય અને વૃદ્ધાવસ્થાના કારણ આપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સતીષ પ્રધાન, નૃત્યગોપાલ દાસ અને કલ્યાણસિંહ ચુકાદાની સુનાવણીમાં હાજર રહ્યાં નહોતાં. આ ૬ આરોપી વીડિયો કોન્ફરન્સિંગ અથવા તો પોતાના વકીલના માધ્યમથી કોર્ટમાં હાજર રહ્યાં હતાં. કોર્ટે તમામ આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરી દેતાં કોર્ટરૂમમાં જયશ્રી રામના નારા ગુંજી ઊઠયાં હતાં. તમામ આરોપીઓ અને તેમના વકીલોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. જજ એસ. કે. યાદવે ચુકાદો વાંચવાની શરૂઆત કરતાં જ સન્નાટો છવાયો હતો. પરંતુ ચુકાદો વંચાતો ગયો આરોપીઓના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી.

કયા આરોપી નિર્દોષ 

અડવાણી, મુરલીમનોહર, કલ્યાણસિંહ, ઉમા ભારતી, કટિયાર, સાધ્વી ઋતંભરા, નૃત્ય ગોપાલદાસ, રામવિલાસ વેદાંતી, ચંપત રાય, ધર્મદાસ, સતીષ પ્રધાન, પવન પાંડે, લલ્લુસિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજભૂષણ શરણસિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જયભગવાન ગોયલ, ઓમપ્રકાશ પાંડે, અમરનાથ ગોયલ, જયભાનસિંહ પવૈયા, સાક્ષી મહારાજ, વિનયકુમાર રાય, નવીનભાઈ શુકલા, આર. એન. શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર, સુધીરકુમાર કક્કડ, ધર્મેન્દ્રસિંહ ગુર્જર

કયા આરોપીઓનાં સુનાવણી દરમિયાન મોત

અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુહરિ દાલમિયા, મોરેશ્વર સાવે, મહંત અવૈદ્યનાથ, મહામંડલેશ્વર જગદીશ મુનિ મહારાજ, વૈકુંઠલાલ શર્મા, પરમહંસ રામચંદ્રદાસ, ડો. સતીષ નાગર, બાલાસાહેબ ઠાકરે, તત્કાલીન એસએસપી ડી. બી. રાય, રમેશ પ્રતાપસિંહ, મહાત્યાગી હરગોવિંદસિંહ, લક્ષ્મીનારાયણ દાસ, રામનારાયણ દાસ, વિનોદકુમાર બંસલ

સુપ્રીમ કોર્ટે રામમંદિર ચુકાદામાં જણાવ્યું હતું કે, બાબરી વિધ્વંસ ગણતરીપૂર્વકનું કૃત્ય..!!

રામમંદિર અંગેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોંધ કરી હતી કે, બાબરી મસ્જિદ વિધ્વંસનું કૃત્ય ગણતરીપૂર્વકનું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમના ચુકાદામાં નોંધ્યું હતું કે, જાહેર બંદગીના સ્થળનો નાશ કરવાના ગણતરીપૂર્વકના કૃત્યમાં મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. મસ્જિદથી મુસ્લિમોને ખોટી રીતે વંચિત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મસ્જિદ તોડી પાડવાની ઘટના કાયદાનું ઉલ્લંઘન હતું.

વિશેષ સીબીઆઇ અદાલતનો ચુકાદો બિલકુલ બકવાસ : જસ્ટિસ લિબરહાન

બાબરી વિધ્વંસની તપાસ માટે નરસિમ્હારાવ સરકાર દ્વારા રચાયેલા તપાસ પંચના વડા જસ્ટિસ લિબરહાને વિશેષ સીબીઆઇ કોર્ટના ચુકાદાને બિલકુલ બકવાસ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સુનિયોજિત કાવતરાના કારણે મસ્જિદ તોડી પડાઈ નથી તેવો અદાલતનો ચુકાદો મારા પંચના તારણોથી તદ્દન વિરોધાભાસી છે. લિબરહાન પંચે મસ્જિદ વિધ્વંસ માટે અડવાણી, મુરલીમનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, કલ્યાણસિંહ, વિનય કટિયાર, અટલ બિહારી વાજપેયી, બાલ ઠાકરે સહિતના ૬૮ નેતાઓને દોષિત ઠેરવ્યા હતા.

વિશેષ CBI કોર્ટના મહત્ત્વનાં અવલોકન

  1. બાબરી મસ્જિદ તોડી પાડવાનું કૃત્ય પૂર્વનિયોજિત નહોતું, અચાનક જ ઘટના બની હતી
  2. CBI દ્વારા પૂરતા પુરાવા રજૂ કરાયા નથી,
  3. સીબીઆઇ દ્વારા રજૂ કરાયેલા ઓડિયો અને વીડિયોની અધિકૃતતા પુરવાર થતી નથી, ભાષણોની ઓડિયો ટેપ સ્પષ્ટ નથી, વીડિયો કેસેટ સીલ નહોતી અને તેમાંના વીડિયો પણ સ્પષ્ટ નથી
  4. અસામાજિક તત્ત્વો દ્વારા મસ્જિદ તોડી પાડવામાં આવી, આરોપી નેતાઓની તેમાં સીધી કે આડકતરી રીતે કોઈ સંડોવણી સામે આવી નથી, તેઓ અસામાજિક તત્ત્વોને અટકાવી રહ્યાં હતાં
  5. અશોક સિંઘલ અને સંઘ પરિવારના અન્ય નેતાઓ મસ્જિદમાં રામલલાની પ્રતિમાઓ હોવાના કારણે મસ્જિદને બચાવવા ઇચ્છતા હતા
  6. ગુપ્તચર રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે, ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અસામાન્ય ઘટનાક્રમ આકાર લઈ શકે છે પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નહોતું
  7. મસ્જિદ તોડી પાડવાનું કાવતરું ઘડવા વિનય કટિયારના નિવાસસ્થાને બેઠક મળી હતી તેના પુરાવા તરીકે રજૂ કરાયેલો વીડિયોમાંથી કોઈ કાવતરું પુરવાર થતું નથી
  8. ફોટોગ્રાફની નેગેટિવ સીબીઆઇ દ્વારા કોર્ટમાં રજૂ કરાઈ નથી, વીડિયો રેકોર્ડિંગ પણ ઉપજાવી કાઢેલાં અને ચેડાં કરાયેલાં છે