વિજય માલ્યાને ગમે તે ઘડીએ ભારત લાવવામાં આવે તેવી શક્યતા, પ્રત્યાર્પણની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ
- પ્રત્યાર્પણ અરજી નકાર્યાના 20 દિવસ થયા, 28 દિવસમાં પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે
- બ્રિટનની સુપ્રીમ કોર્ટે માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી નકારી દીધી હતી
દેશમાંથી ભાગી ગયેલા કારોબારી વિજય માલ્યાને ગમે તે ઘડીએ ભારત લાવવામાં આવી શકે છે. મુંબઈમાં તેની સામે કેસ દાખલ હોવાથી તેમને મુંબઈ લાવવામાં આવશે. તપાસ એજન્સીઓના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માલ્યાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનમાં માલ્યાની પ્રત્યાર્પણને લગતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં વિજય માલ્યાને ભારત લાવવામાં આવી શકે છે. વિજ્ય માલ્યાની પ્રત્યાર્પણને લગતી એક અરજીને બ્રિટનની કોર્ટે ગત 14 મેના રોજ નકારી દીધી હતી. જોકે સૂત્રોએ માલ્યાને ચોક્કસ કઈ તારીખે ભારત લાવવામાં આવશે તે અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રત્યાર્પણ વિરુદ્ધ વિજય માલ્યા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને બ્રિટનની સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી. ત્યારબાદ પ્રત્યાર્પણને લગતી તમામ કાયદાકીય ઔપચારિકતાને પૂરી કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ વિજય માલ્યાને ભારત પરત લાવવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે.
પ્રત્યાર્પણ અરજી નકાર્યાના 20 દિવસ થયા, 28 દિવસમાં પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે
હકીકતમાં 14 મેના રોજ બ્રિટનની હાઈકોર્ટ તરફથી પ્રત્યાર્પણ સામે વિજય માલ્યાની અરજી નકાર્યા બાદ તેને ભારત પરત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કોર્ટના નિર્ણય બાદ આગામી 28 દિવસમાં પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવે તેવી શક્યતા છે. આ નિર્ણયને 20 દિવસ થઈ ગયા છે અને તેમને ગમે ત્યારે ભારત લાવવાની કાર્યવાહી થઈ શકે છે.
લોન પરત કરવા તૈયારી દર્શાવી હતી
દેશની 17 બેન્કો સાથે છેતરપિંડી આંચરીને વર્ષ 2016માં અંગત કારણોને ટાંકી વિજય માલ્યા ભારત છોડી જતો રહ્યો હતો અને ત્યારબાદ તે લંડનમાં વસવાટ કરે છે. વિજય માલ્યા પર આરોપ છે કે તેણે બેન્કો પાસેથી મેળવેલ લોન ગેરકાયદેસર રીતે તેની 40 વિદેશી કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા. હવે જ્યારે કાયદાકીય રીતે બચવાના કોઈ વિકલ્પ બાકી ન રહેતા લોન પરત કરવાની તૈયારી દર્શાવી હતી