જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, માતાએ બે બાળકોને કૂવામાં ફેંકી દીધા

જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, માતાએ બે બાળકોને કૂવામાં ફેંકી દીધા

લોકડાઉનને કારણે લોકો ઘરમાં બંધ છે. અને રોજનું કમાતાં લોકોને કોઈ કમાણી ન હોવાથી ઘરમાં અવારનવાર કંકાસના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. તેવામાં હાલોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલોલ તાલુકાના રાયણવાડીયા ગામમાં પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો થતાં માતાએ પોતાને બે બાળકોને કૂવામાં ફેંકી દેતાં બંનેનાં મોત નિપજ્યા હતા.

પંચમહાલના હાલોલ તાલુકાના રાયણવાડીયા ગામે કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં રાઠવા પરિવારમાં હાલ કમાણીનું કોઈ સાધન ન હતું. પ્રતાપ રાઠવા છેલ્લા બે મહિનાથી ઘરે જ હતો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેમાં જમવાની બાબતે ઝઘડો થયો હતો. જે બાદ પત્નીએ આવેશમાં આવી જઈને પોતાના બે બાળકો પ્રતિક રાઠવા (ઉં-5) અને પ્રદીપ રાઠવા (ઉં-7)ને ઘરથી થોડે દૂર ખેતરમાં આવેલાં કૂવામાં ફેંકી દીધા હતા.

કૂવામાં ડૂબી જવાને કારણે બંને બાળકોનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ફાયરબ્રિગેડની ટીમે બંને બાળકોનાં મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. આ મામલે પોલીસે આરોપી માતા સામે બે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.