પીઓકેથી ભારત આવેલા પરિવારને કેન્દ્ર 5.5 લાખની સહાય આપશે

પીઓકેથી ભારત આવેલા પરિવારને કેન્દ્ર 5.5 લાખની સહાય આપશે

કાશ્મીરીઓના વિકાસ માટે સરકારનો વધુ એક નિર્ણય

1947માં પીઓકેથી ભારત આવેલા 31619 પરિવાર પૈકી 26319ને સહાય મળી ચુકી છે.

નવી દિલ્હી, તા. 9 ઓક્ટોબર, 2019, બુધવાર

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના વિસ્થાપિત પરિવારો માટે પાંચ લાખ રૂપિયાની સહાયને મંજૂરી આપી દીધી છે. 1947માં જે લોકો વંચીત રહી ગયા હોય અને બાદમાં જમ્મુ કાશ્મીરમાં આવીને વસ્યા હોય તેમને આ લાભ આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ લાભ આશરે 5300 જેટલા પરિવારને આપવામાં આવશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર એક વંચિત પરિવારને 5.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જોકે આ સહાય માત્ર એક વખત જ મળશે. આવા પરિવારો પોતાની રોજીરોટી માટે ભટકે નહીં તેને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું.

સાથે જ આ 5300 પરિવારનો ભારતીય નાગરિક તરીકે સમાવેશ કરવાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 1947માં તેઓ વિસ્થાપિત થયા હતા, આ નાગરિકો પીઓકેથી કાશ્મીરમાં આવ્યા હતા, અને બાદમાં ત્યાં આશરો ન મળતા અન્ય રાજ્યમાં જતા રહ્યા હતા. બાદમાં ફરી કાશ્મીર આવીને વસ્યા હતા. 

2016માં જ કેન્દ્ર સરકારે કાશ્મીરના આવા નાગરિકોને સહાયની જાહેરાત કરી હતી, જોકે આ 5300 પરિવારને તેમાંથી બાકાત રાખ્યા હતા અને તેઓ લાભ નહોતા લઇ શક્યા. જોકે હવે તેમને આ લાભમાં સામેલ કરી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે 1947માં પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પીઓકેમાંથી 31619 પરિવાર સ્થળાંતર થઇને કાશ્મીરમાં આવ્યા હતા. જેમાંથી 26319 પરિવાર કાશ્મીરમાં વસી ગયા હતા.

જોકે 5300 પરિવાર ભારતના અન્ય ભાગો અને રાજ્યોમાં વસવાટ કરવા જતા રહ્યા હતા. જોકે આ પરિવારને કેન્દ્ર સરકારે 2016માં પીઓકેના અન્ય પરિવાર માટે જે સહાય પેકેજ જાહેર કર્યું હતું તે નહોતુ મળી શક્યું, કેમ કે તેમનો સમાવેશ નહોતો કરાયો. હવે આ સહાય તેમના સુધી પહોંચાડવામાં આવશે.