દેશની જાણીતી બિસ્કિટ કંપની પાર્લે-જી 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે તેવી શકયતા

દેશની જાણીતી બિસ્કિટ કંપની પાર્લે-જી 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પાર્લે પ્રોડકટ્સ( Parle Products) પણ તેના 8થી 10 હજાર કર્મચારીઓની છટણી કરે તેવી શકયતા છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ રીતે જ વપરાશમાં મંદી યથાવત રહેશે તો તેને કર્મચારીઓને કાઢવા પડશે. કંપનીએ કહ્યું કે આ મંદી એ વાતનો સંકેત આપી રહી છે કે અર્થવ્યવસ્થા યોગ્ય ટ્રેક પર ચાલી રહી નથી.

જીએસટી ઘટશે નહિ તો છટણી કરવી પડશે

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, કંપનીએ કેટેગરી હેડ મયંક શાહે કહ્યું કે અમે સરકારને અપીલ કરી હતી કે 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઓછી કિંમત પર વેચાનાર બિસ્કિટ પર લાગતો જીએસટી ઘટાડવામાં આવે. આ બિસ્કિટ સામાન્ય રીતે 5 રૂપિયા અને તેનાથી ઓછાના પેકમાં વેચાય છે. જોકે હવે સરકાર અમારી અપીલ માનશે નહિ તો અમારી પાસે 8,000થી 10,000 લોકોને નોકરીમાંથી કાઢવા સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે વેચાણમાં ઘટાડાની અમારી પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે.

1 લાખથી વધુ કર્મચારીઓ પાર્લેમાં કામ કરે છે

પાર્લે દેશની સૌથી લોકપ્રિય બ્રાન્ડમાં સામેલ છે. વાર્ષિક 10,000 કરોડથી વધુનું વેચાણ કરનાર પાર્લે કંપી પાર્લે-જી(Parle-G), મોનાકો(Monaco) અને મારી(Marie) બ્રાન્ડના બિસ્કિટ બનાવે છે. કંપનીમાં એક લાખ કર્મચારીઓ કામ કરે છે અને કંપનીના 10 પ્લાન્ટ્સ છે. આ સિવાય કંપની 125 થર્ડ પાર્ટી મેન્યુફેકચરિંગ ફેસિલિટી પણ ઓપરેટ કરે છે. પાર્લેનું અડધાથી વધુ વેચાણ ગ્રામીણ બજારોમાં થાય છે.

અન્ય બ્રાન્ડ્સ પણ પરેશાન

પાર્લે સિવાય બિસ્કિટ અને ડેરી પ્રોડક્ટ બનાવનારી અગ્રણી કંપની બ્રિટાનિયાએ પણ થોડા દિવસો અગાઉ આવી ચિંતા વ્યક્ત કરી હતી. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર વરુણ બૈરીએ કહ્યું કે વપરાશકારો બિસ્કિટનું પાંચ રૂપિયાનું પેકેટ ખરીદવાથી પણ અચકાઈ રહ્યાં છે. આ ઈકોનોમી માટે એક ગંભીર મુદ્દો છે.