દેશના કોઈ પણ ખુણે આવેલ દુકાન પરથી ખરીદી શકાશે રાશન! મોદી સરકાર સક્રિય

દેશના કોઈ પણ ખુણે આવેલ દુકાન પરથી ખરીદી શકાશે રાશન! મોદી સરકાર સક્રિય

ગરીબ નાગરિક જ્યારે દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે ત્યારે ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત તેને સસ્તા ભાવના અનાજથી વંચિત ન રહેવું પડે તે માટે કેન્દ્ર સરકાર વન નેશન વન રેશનકાર્ડ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના અમલમાં આવતાં દેશનો કોઈપણ નાગરિક સમગ્ર દેશમાં સસ્તા ભાવની અનાજની દુકાન ખાતેથી રેશન મેળવી શકશે. આ યોજનાનો બીજો લાભ એ થશે કે, અલગ અલગ રાજ્યોમાં એક કરતાં વધુ રેશનકાર્ડ ધરાવતા ભૂતિયા કાર્ડધારકોને પણ નાબૂદ કરી શકાશે. કેન્દ્રીય અન્ન અને પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આ યોજનાને જેમ બને તેમ ઝડપથી અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

રોજગાર માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતા શ્રામિકો માટે આ યોજના અત્યંત લાભકારક પુરવાર થશે તેવો દાવો કરતાં પાસવાને જણાવ્યું હતું કે, હવે તેમને સંપૂર્ણ ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થશે. આ યોજનાથી રેશનકાર્ડ ધારકને કોઈ એક રેશનની દુકાન સાથે બંધાયેલા રહેવું પડશે નહીં. જાહેર પુરવઠામાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને આ યોજનાની મદદથી નિયંત્રણમાં લાવી શકાશે. ભૂતિયા કાર્ડ નાબૂદ કરવા માટે મંત્રાલય દ્વારા દેશભરમાં જારી કરાયેલા તમામ રેશનકાર્ડનો કેદ્રીય ડેટા તૈયાર કરવામાં આવશે. જેની મદદથી એક જ વ્યક્તિના નામે જારી થયેલા એકથી વધુ રેશનકાર્ડ રદ કરી શકાશે.

પાસવાને જણાવ્યું હતું કે, એક વર્ષમાં આ યોજનાની તમામ તૈયારી પૂરી કરી લેવાશે. આ યોજનાના અમલ માટે રેશનની દરેક દુકાન પર પોઇન્ટ ઓફ સેલ મશીનોની જરૂર પડશે. હાલ આંધ્ર પ્રદેશ, હરિયાણા અને અન્ય કેટલાક રાજ્યોમાં રેશનની દુકાનો આ પ્રકારના મશીનોથી સજ્જ છે. દેશભરમાં આ યોજનાના લાભ પહોંચાડવા માટે રેશનની દરેક દુકાનને સજ્જ કરાશે.