રિસર્ચમાં દાવો : કોરોનાનો વૃદ્ધિદર રોકવામાં માત્ર રૂ. 60ની કિંમતનું અશ્વગંધા, રૂ. 60 હજારના કોકટેલ ઈન્જેક્શન જેટલું અસરકારક

રિસર્ચમાં દાવો : કોરોનાનો વૃદ્ધિદર રોકવામાં માત્ર રૂ. 60ની કિંમતનું અશ્વગંધા, રૂ. 60 હજારના કોકટેલ ઈન્જેક્શન જેટલું અસરકારક

વિથેનોન નામનું રસાયણ કોરોનાના એમ-પ્રોટીનને નિષ્ક્રિય કરે છે

તાજેતરમાં શહેરની કોર્પોરેટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને રૂ. 60 હજારની કિંમતનું મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન અપાયું છે. રૂ. 60 હજારના કોકટેલ ઇન્જેક્શનની જેમ આયુર્વેદિક અશ્વગંધા પણ કોરોના વાઈરસના વૃદ્ધિદરને અટકાવતો હોવાનો દાવો કરાયો છે. આઇઆઇટી- દિલ્હી અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST)એ આ બાબત સિદ્ધ કરી હોવાનો એક ડોક્ટરનો દાવો છે.

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ અને સેનેટ સભ્ય ડો. કમલેશ રાજગોર જણાવે છે કે, આધુનિક તબીબી વિજ્ઞાનમાં મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન કોરોના વાઈરસના એસ-પ્રોટીનને વધતું અટકાવે છે, જેથી વાઈરસ શરીરના બીજા કોષોમાં પ્રવેશી શકતો નથી. વાઈરસને શરીરમાં અટકાવતા કોકટેલ ઇન્જેક્શનના એક ડોઝની કિંમત રૂ. 60 હજાર છે અને કોરોનાના માઇલ્ડ લક્ષણો ધરાવતાં અને રેપિડ કે આરટીપીસીઆરમાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલાં દર્દીને અપાય છે. એટલે કે, વાઈરસ નાક કે ગળામાં પ્રવેશીને સંક્રમણ થોડા અંશે શરીરના કોષોમાં પ્રવેશ્યો હોય ત્યારે જ વ્યક્તિ હળવા લક્ષણ સાથે કોરોનાનો ચેપ લાગે છે. એટલે કે કોકટેલ ઇન્જેક્શન વાપરવાને સમય થાય તે પહેલા વાઈરસ શરીરમાં પ્રવેશીને આગળ વધી ચૂક્યો હોય તેવું માની શકાય.

પરંંતુ, કોકટેલ ઇન્જેક્શનની જેમ આયુર્વેદનું રસાયણ અને બલ્ય ઔષધ અશ્વગંધામાં રહેલું વિથેનોન નામનું ત્તત્વ વાઈરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને તેના વૃદ્ધિદરને અટકાવી દે છે. તેમજ કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ કરતું નથી. કોકટેલ થેરાપીની જેમ કામ કરતું અશ્વગંધા શરીરમાં છુપાયેલા બીજા અન્ય રોગો સામે પણ રક્ષણ આપે છે. એટલે કે માત્ર રૂ. 60ની કિંમતનું અશ્વગંધા 60 હજારના કોકટેલ એન્ટિબોડી ઇન્જેક્શન જેટલું અસરકારક સાબિત થઇ શકે છે.

સ્પાઈક પ્રોટીન પર સીધો પ્રહાર કરે છે
IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (એઆઇએસટી) દ્વારા થયેલાં રિસર્ચ પ્રમાણે, અશ્વગંધામાં ‘વિથેનોન’ નામનું કુદરતી રસાયણ રહેલું છે. જે કોરોના વાયરસનાં એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને વૃધ્ધિદર અટકાવે છે. મૂળ કોરોના વાઈરસ ચાર પ્રોટીનનો બનેલો છે, જેમાં સૌથી ઉપર કાંટા જેવું દેખાય છે, તે એસ-પ્રોટીન જે શરીરના કોષને સંક્રમિત કરીને ડીએનએ સાથે મળે છે, ત્યારે એમ-પ્રોટીન તેને એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે. પરંતુ, આ વિથેનોન એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ બનાવે છે.

( Source – Divyabhaskar )