યુદ્ધમાં અત્યાર સુધી 59ના મોત : ઈઝરાયલે કહ્યું- હવે હુમલા ત્યારે જ બંધ થશે, જ્યારે દુશ્મનને શાંત કરી દઈશું; પેલેસ્ટાઈનનો જવાબ- અમે પણ તૈયાર છીએ

યુદ્ધમાં અત્યાર સુધી 59ના મોત : ઈઝરાયલે કહ્યું- હવે હુમલા ત્યારે જ બંધ થશે, જ્યારે દુશ્મનને શાંત કરી દઈશું; પેલેસ્ટાઈનનો જવાબ- અમે પણ તૈયાર છીએ

  • 30 વર્ષની સૌમ્યા કેરળના આદિમાલી નજીક આવેલા કાનજીરમથાનમની વતની હતી
  • છેલ્લા 7 વર્ષથી તે ઈઝરાયલમાં કામ કરતી હતી, છેલ્લે 2017માં પરિવારને મળવા ભારત આવી હતી

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે શરૂ થયેલો વિવાદ જંગ તરફ આગળ વધી રહ્યો છે. બુધવાર સુધી હમાસ(ઈઝરાયલ તેને આતંકી સંગઠન માને છે) ઈઝરાયલ પર સતત રોકેટ છોડતુ રહ્યું. ઈઝરાયલની આર્મીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. તેમણે લખ્યું સેન્ટ્રલ અને દક્ષિણી ઈઝરાયલમાં સતત રોકેટ છોડાઈ રહ્યાં છે, બહું થઈ ગયું હવે આ અટકવું જોઈએ.અત્યાર સુધીમાં ઈઝરાયલના 6 નાગરિકો (જેમા એક ભારતીય પણ છે.) અને 53 પેલેસ્ટાઈનના નાગરિકોના મોત થયા છે.

હમાસે તેલ અવીવ, અશ્કેલોન ઔ હોલોન શહેર પર સોમવારથી લઈને બુધવારે રોકેટ ફાયર કર્યા. તેમાં મોટાભાગના રોકેટ ઈઝરાયલના મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમે રોકી લીધા, જોકે ઘણા રોકેટ વસ્તીવાળી જગ્યાએ જઈને ફાટ્યા. હમાસે ઈઝરાયલ પર એક હજારથી વધુ રોકેટ ફેંક્યા. આટલો મોટો એટેક 7 વર્ષ પછી થયો છે.

કેરળના ઈદુક્કી જિલ્લાની એક મહિલાનું મોત નિપજ્યું
ઈઝરાયલમાં પેલેસ્ટાઈનના હમાસ દ્વારા મોર્ટાર શેલથી કરવામાં આવેલા હુમલામાં કેરટેકર તરીકે કામ કરી રહેલી કેરળના ઈદુક્કી જિલ્લાની એક મહિલાનું મોત નિપજ્યું છે. 30 વર્ષની સૌમ્યા કેરળના આદિમાલી નજીક કાનજીરમથાનમની વતની હતી અને તે ઈઝરાયલમાં અશોકેલન ખાતે કેરટેકર તરીકે કામ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં સૌમ્યા સહિત બે મહિલાના મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરણે સોશિયલ મીડિયા પર માહિતી આપી
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ઈઝરાયલમાં હુમલાનો ભોગ બનેલી ભારતીય દિકરી સૌમ્યા સંતોષના પરિવાર સાથે વાતચીત કરી છે. તેમને શક્ય તમામ મદદ આપવામાં આવશે. બીજી બાજુ ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન મલકાએ કહ્યું કે હમાસના હુમલામાં મૃત્યુ પામનાર ભારતની સંતોષ પ્રત્યે અમે ઈઝરાયલ તરફથી દુખ વ્યક્ત કરી છીએ. અમારું હૃદય દુખથી ભરેલુ છે. આ હુમલાએ 9 વર્ષના એક દિકરાને તેની માતાથી દૂર કરી છે.

હુમલામાં સૌમ્યાના મોતની સંંબંધીઓએ પૃષ્ટી કરી
ઈઝરાયલ સ્થિતિ સૌમ્યાના ભાભીએ સૌમ્યાના મૃત્યુની માહિતીની પૃષ્ટી કરી હતી. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3 વાગે બની હતી. અવાજ સાંભળતા જ હું ઘર તરફ દોડી ગઈ હતી, જ્યાં સૌમ્યા કામ કરતી હતી.પેલેસ્ટાઈન સ્થિત હમાસ દ્વારા છોડવામાં આવેલા મોર્ટાર શેલ ઘર પર પડ્યો હતો અને સમગ્ર ઈમારત તૂટી ગઈ હતી. સૌમ્યા અને અન્ય એક વૃદ્ધ મહિલા આ હુમાલામાં માર્યાં ગયા હતા.

સૌમ્યા વર્ષ 2017માં પરિવારને મળવા ભારત આવી હતી
સૌમ્યા છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં કામ કરી રહી હતી અને છેલ્લે તે વર્ષ 2017માં પરિવારને મળવા માટે ભારત આવી હતી. સૌમ્યાના પતિ સંતોષના ભાઈ સાજીએ જણાવ્યું હતું કે અમે સાંજે 5 વાગે તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં અમને માહિતી મળી હતી કે હમાસ દ્વારા જે મોર્ટાર હુમલો થયો હતો તેમાં તેનું મૃત્યુ થયું છે. ત્યારબાદ અમે દૂતાવાસનો સંપર્ક કર્યો હતો અને તેના મૃતદેહને લાવવા માટે વ્યવસ્થા કરી છે.

( Source – Divyabhaskar )