પીડિયાટ્રિશિયનનો મત : ઘરના દરેક વ્યક્તિ જો વેક્સિન લઈ લેશે તો બાળકોને ચેપ નહીં લાગે, ઇમ્યુનિટી બુસ્ટરના નામે બાળકોને કોઈ દવા આપવી નહીં

પીડિયાટ્રિશિયનનો મત : ઘરના દરેક વ્યક્તિ જો વેક્સિન લઈ લેશે તો બાળકોને ચેપ નહીં લાગે, ઇમ્યુનિટી બુસ્ટરના નામે બાળકોને કોઈ દવા આપવી નહીં

વયસ્કોમાંથી જ બાળકોને ઇન્ફેક્શન લાગે છે

હાલ કોરોનાએ સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી દીધી છે. તો બીજી તરફ એક્સપર્ટ હાલ સેકન્ડ વેવ પૂરો થવા આવી રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે અને ત્રીજા સંભવિત વેવની પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ત્રીજી લહેરમાં મોટા પ્રમાણમાં બાળકો પણ સંક્રમિત થઈ શકે એવો વેરિયન્ટ આવે એવી શક્યતા છે. બીજી લહેરમાં પણ અનેક બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. જો બાળકોને સંક્રમણથી બચાવવા હોય તો ઘરના તમામ સભ્યોએ કોરોના વેક્સિન લઈ લેવી અત્યંત જરૂરી છે.

બાળકોને પણ કોવિડ પ્રોટોકોલ સમજાવો
જેમાં ત્રીજી લહેરમાં બાળકો ટાર્ગેટ થઈ શકે તેવો વેરિયન્ટ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બધાની વચ્ચે બાળકોની કોરોનાની સારવાર કરતા ડોક્ટર જણાવી રહ્યા છે કે બાળકો હાલ તો ઘરમાં જ છે અને જો ઘરના દરેક વ્યક્તિએ વેક્સિન લીધેલી હશે તો બાળકોના સંક્રમિત થવાના ચાન્સ ઘટી જશે. તેની સાથે બાળકોને વયસ્કોની જેમ કોવિડ પ્રોટોકોલ સમજાવવામાં આવે તો તે તુરંત તેનું પાલન કરતું થઈ જાય છે. જ્યારે ઇમ્યુનિટી બુસ્ટરના નામે બાળકોને કોઈ પણ દવા આપવી યોગ્ય નથી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર ચારુલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાં સ્ટ્રેઈન બદલાતો રહ્યો છે. અત્યાર સુધી સિવિલમાં અનેક બાળકોની કોરોનાની ટ્રીટમેન્ટ થઈ છે. પરંતુ હજી આગામી સ્ટ્રેનમાં કઇ પરિસ્થિતિ છે હાલ કહેવું અઘરું છે.

દરેક વ્યક્તિ વેક્સિનેટ હશે તો બાળકોને અસર નહિં થાય
ડો.ચારુલ મુજબ, હાલના સમયમાં વેક્સિન ખૂબ જ મોટું શસ્ત્ર છે પણ બાળકો માટે હજી વેક્સિન આવી નથી. તેથી બાળક કરતા ઘરના અન્ય દરેક સભ્યો વેક્સિન લે તો બાળકો સંક્રમણથી બચી શકે છે. હાલ બાળકો ઘરમાં છે અને તેમના ઘરના સભ્યો બહારથી આવે તો તેના દ્વારા જ સંક્રમણ લાગી રહ્યું છે. આમ જો દરેક વ્યક્તિ વેક્સિનેટેડ હશે તો બાળકોને ઓછી અસર થશે અથવા નહિં થાય.

( Source – Divyabhaskar )