કોવેક્સિન કોરોનાના અનેક વેરિયેન્ટ્સ પર અસરકારક : ડબલ મ્યૂટેન્ટ વેરિયેન્ટને પણ સમાપ્ત કરી નાખે છે કોવેક્સિન,

કોવેક્સિન કોરોનાના અનેક વેરિયેન્ટ્સ પર અસરકારક : ડબલ મ્યૂટેન્ટ વેરિયેન્ટને પણ સમાપ્ત કરી નાખે છે કોવેક્સિન,

  • સ્વદેશી કોવેક્સિનની ટ્રાયલનાં પરિણામ ઘણાં જ સારાં આવ્યાં છે. ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં અંતિમ પરિણામ મુજબ, આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે
  • BBV152ની સાથે 28 દિવસની ઓપન વાયલ પોલિસી પણ છે, જે વેક્સિનના વેસ્ટેજને 10-30% સુધી ઓછું કરે છે
  • ભારત બાયોટેક નેઝલ વેક્સિન પણ બનાવી રહી છે, જેની જાન્યુઆરીથી ટ્રાયલ શરૂ કરાઈ છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે સારા સમાચાર આપ્યા છે. ICMRએ કહ્યું હતું કે કોવેક્સિન ડબલ મ્યૂટન્ટ કોરોના વેરિયેન્ટને પણ સમાપ્ત કરી નાખે છે. પોતાના અભ્યાસના આધારે ઈન્સ્ટિટ્યૂટે કહ્યું હતું કે બ્રાઝિલ વેરિયેન્ટ, યુકે વેરિયેન્ટ અને સાઉથ આફ્રિકન વેરિયેન્ટ પર પણ આ વેક્સિન અસરકારક છે અને એને પણ એ સમાપ્ત કરી નાખે છે.

મહારાષ્ટ્ર-દિલ્હીમાં ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટે મુશ્કેલી વધારી
કોવેક્સિન અંગે ICMRએ રાહત પહોંચાડનારા સમાચાર તો આપ્યા છે, પરંતુ હવે કોરોનાના નવા વેરિયેન્ટ મુશ્કેલી વધારી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, દેશમાં હવે કોરોનાના ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટ ફેલાઈ રહ્યો છે. કોરોનાના ત્રણ અલગ-અલગ સ્ટ્રેનથી આ નવો વેરિયેન્ટ બન્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિયેન્ટનો જ શિકાર બની રહ્યા છે.

ટ્રાયલનાં પરિણામો ઘણાં જ સારાં આવ્યાં હતાં
સ્વદેશી કોવેક્સિનની ટ્રાયલનાં પરિણામ ઘણાં જ સારાં આવ્યાં છે. ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં અંતિમ પરિણામ મુજબ, આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. સરકારે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં વેક્સિનને ઈમર્જન્સી અપ્રવૂલ આપ્યું હતું. સરકારનો આ નિર્ણય વિશેષજ્ઞોના નિશાને હતો, કેમ કે તેમણે ફેઝ-3નાં પરિણામો જોયાં વગર જ તેને ઈમર્જન્સી અપ્રવૂલ આપી હતી, જેનો તેમણે વિરોધ કર્યો હતો.

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ હાલમાં કોવેક્સિનના જ ડોઝ લીધા છે. ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવનું કહેવું છે કે 8 મહિનાથી પણ ઓછા સમયમાં પ્રભાવી કોરોના વેક્સિન- કોવેક્સિન વિકસિત કરવામાં આવી છે અને આ આત્મનિર્ભર ભારતની યોગ્ય તસવીર રજૂ કરે છે.

કોરોનાના તમામ વેરિયેન્ટ્સ વિરુદ્ધ કોવેક્સિન અસરકારક
ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ, કૃષ્ણા એલ્લાનું કહેવું છે કે ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રણેય ફેઝમાં 27 હજાર વોલન્ટિયર્સ પર વેક્સિનનો પ્રયોગ કરાયો છે. ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામથી એ સાબિત થઈ ગયું છે કે કોવેક્સિન કોરોનાવાયરસ વિરુદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી સામે આવી રહેલા કોરોનાવાયરસના અન્ય વેરિયેન્ટ્સ વિરુદ્ધ પણ અસરકારક છે.

કોવેક્સિનનો બગાડ પણ ઓછો
કોવેક્સિન કે BBV152 એક વ્હોલ વાયરોન ઈનએક્ટિવેટેડ SARS-CoV-2 વેક્સિન છે, જેને વેરો સેલ્સથી બનાવવામાં આવી છે. આ 2થી 8 ડીગ્રી સેલ્સિયસ પર સ્ટેબલ રહે છે અને રેડી-ટુ-યુઝ લિક્વિડ ફોર્મેશનમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. હાલની વેક્સિન સપ્લાઈ ચેન ચેનલ્સ માટે આ ઉપયુક્ત છે. BBV152ની સાથે 28 દિવસની ઓપન વાયલ પોલિસી પણ છે, જે વેક્સિનના વેસ્ટેજને 10-30% સુધી ઓછું કરે છે.

નેઝલ વેક્સિન પણ તૈયાર કરી રહ્યું છે ભારત બાયોટેક

  • ભારતમાં કોવેક્સિન તૈયાર કરી રહેલા ભારત બાયોટેકે પોતાની નેઝલ વેક્સિન કોરોફ્લૂની ટ્રાયલ્સ જાન્યુઆરીમાં શરૂ કરી હતી. ભારત બાયોટેકના ફાઉન્ડર ડૉ. કૃષ્ણા એલ્લાના જણાવ્યા મુજબ, નેઝલ વેક્સિનને એક જ વખત આપવાની રહેશે. અત્યારસુધીના રિસર્ચ મુજબ, આ ઘણો જ સારો વિકલ્પ સાબિત થયો છે. એના માટે કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટીની સાથે કરાર કર્યા છે.
  • ક્લિનિકલ ટ્રાય્લ્સ રજિસ્ટ્રી મુજબ, ચાર શહેરોમાં 175 લોકોને આ નેઝલ વેક્સિન આપવામાં આવી છે. થોડા જ દિવસોમાં એના ફેઝ-1ની ટ્રાયલ્સનાં પરિણામો આવવાની આશા છે. સારી વાત એ છે કે આ નાકમાં સ્પ્રે કરીને આપવામાં આવશે અને વાયરસના એન્ટ્રી પોઈન્ટ્સને જ બ્લોક કરી દેશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે નાકથી જ કોરોના શરીરમાં એન્ટ્રી કરે છે અને બીમાર કરે છે. ત્યારે નેઝલ સ્પ્રે અસરકારક સાબિત થઈ શકે છે.

( Source – Divyabhaskar )