કોરોના વોરિયર્સને પ્રોત્સાહન : કોવિડ સેવા આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સને 30 જૂન સુધી સ્ટાઇપેન્ડ ઉપરાંત રૂ. 5000નું કોવિડ પ્રોત્સાહન અપાશે

કોરોના વોરિયર્સને પ્રોત્સાહન : કોવિડ સેવા આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સને 30 જૂન સુધી સ્ટાઇપેન્ડ ઉપરાંત રૂ. 5000નું કોવિડ પ્રોત્સાહન અપાશે

  • કોરોનાના દર્દીઓની સેવા કરતા રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન્સને આરોગ્ય વિભાગ ખાસ કોવિડ પ્રોત્સાહન આપશે.
  • 30 જૂન 2021 સુધી દર મહિને સ્ટાઇપેન્ડ ઉપરાંત વધારાના રૂ. 5000નું કોવિડ પ્રોત્સાહન અપાશે.

ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે. એવામાં સરકાર તરફથી આ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સને દર મહિને સ્ટાઇપેન્ડ ઉપરાંત રૂ.5000નું કોવિડ પ્રોત્સાહન અપાશે.

30 જૂન સુધી કોવિડ પ્રોસ્તાહન તરીકે રૂ. 5 હજાર અપાશે
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું હતું. હવે કોવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટ ડૉકટર્સને રૂપિયા 13,000ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000નું ખાસ કોવિડ પ્રોત્સાહન આપવાનો પ્રોત્સાહક નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ આરોગ્યકર્મીઓને પાઠવ્યા અભિનંદન
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં મહામારી ગંભીર પરિસ્થિતિ તરફ પ્રયાણ કરી ચૂકી છે. રાજ્યમાં રોજ હજારો કેસ નોંધાય છે અને મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામેની લડાઈમાં રાત દિવસ એક કરનારા આરોગ્ય કર્મીઓને મુખ્યમંત્રી રૂપાણીએ અભિનંદન પાઠવ્યાં છે. રૂપાણીએ ફેસબુકના માધ્યમથી ઓનલાઈન સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આપણો દેશ, આપણું ગુજરાત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડાઈ સરકાર લડી રહી છે. રાજ્ય અને દેશનો એક એક સામાન્ય માણસ પણ આ લડાઈ લડી રહ્યો છે. પરંતુ મહામારી સામેની આ માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટુ યોગદાન રહ્યું હોય તો એ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ પેરા મેડિકલમાં કામ કરનારા ભાઈઓ બહેનોનું રહ્યું છે.

પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી
આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી હું તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આપના થકી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે. આપના થકી જ આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ. વર્ષ પહેલાં જ્યારે આ મહામારીની શરુઆત થઈ ત્યારથી આપ પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને જાનની બાજી લગાવીને આ કોરોના સામે લડી રહ્યાં છો. આપે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે. જેમાં કેટલાય ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફે તેમના જીવ પણ ગુમાવ્યા છે.

ગુજરાતની જનતા આપની સાથે છે
ગુજરાતની જનતા આપની સાથે છે. આપણે કોરોનાની લડાઈની જીત મેળવવામાં નજીકમાં છીએ. ઝડપથી વેક્સિનેશન પર કામ થઈ રહ્યું છે. આપણે મહામારીમાંથી વેક્સિન થકી બહાર નીકળીશું. આપણે સાથે મળીને કોરોના સામે લડીશું. ત્રણ લાખથી વધુ દર્દીઓની સેવા કરીને તેમને સાજા કરીને ઘરે મોકલ્યા છે. હું આરોગ્ચ કર્મીઓનો આભાર માનું છું. કોરોના હારશે, ગુજરાત જીતશે.

( Source – Divyabhaskar )