લો કરલો બાત…!:એકબાજુ ગુજરાતમાં ઓક્સિજનની અછત છે ‘ને જામનગરની રિલાયન્સ રિફાઇનરી મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલશે

લો કરલો બાત…!:એકબાજુ ગુજરાતમાં ઓક્સિજનની અછત છે ‘ને જામનગરની રિલાયન્સ રિફાઇનરી મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલશે

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાથી સર્જાયેલી ઓક્સિજનની તંગીના પગલે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરીમાંથી 100 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્ર મોકલવામાં આવશે. બુધવારે મુંબઈમાં મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ આ ઘોષણા કરી હતી. મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સપ્લાય કરતા વાહનોને કોઈપણ પ્રકારની અડચણો થાય નહીં એ માટેના આદેશો પણ આપ્યા હતા. જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સેપરેશન યુનિટ છે. જ્યાં મોટાપાયે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. કારણ રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં મોટાપાયે ઓક્સિજનની જરૂર રહેતી હોય છે. મુંબઈ અને થાણેમાં હાલ ઓક્સિજનની ભારે માગ છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત
કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ દર્દીને ઓક્સિજનની જરૂર વધી છે, ત્યારે ત્રણ ગણો ભાવ આપવા છતાં વેપારીઓ ઓક્સિજન આપવા તૈયાર થતા નથી, જેને કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાવાની સાથે ઓક્સિજનને અભાવે દર્દીનું મોત થતાં ડોક્ટરો પર હુુમલાનો ખતરો વધ્યો છે. જેને કારણે ઓક્સિજનની અછતને દૂર કરવા ઇન્ડસ્ટ્રીઝમાં અપાતો ઓક્સિજન સપ્લાય બંધ કરવા અમદાવાદ મેડિકલ એસોસિએશના પ્રમુખ ડો. કિરીટ ગઢવી અને પૂર્વ પ્રમુખ ડો.મોના દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ઓક્સિજનને અભાવે સારવારમાં મુશ્કેલી
ડો. કિરીટ ગઢવી અને ડો.મોના દેસાઇ જણાવે છે કે, મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પરના દર્દી માટે ઓક્સિજનની ભારે અછત હોઈ, તે દૂર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હાલમાં એચડીયુ, આઇસીયુ અને વેન્ટિલેટર પર સારવાર લેતા દર્દીમાં ઓક્સિજનની જરૂરિયાત 3થી 4 ગણી વધી છે. વળી, હોસ્પિટલમાં એવાં જ દર્દીને દાખલ કરાય છે, જેમનું ઓક્સિજન સેચ્યુરેશન 94 ટકાથી ઓછું થયું હોય, જેને લીધે દર્દીને 5 લિટરને બદલે હાલમાં 15 લિટર જેટલો ઓક્સિજન આપવો પડે છે. ત્યારે ત્રણગણા ભાવ ચૂકવવા છતાં ઓક્સિજનના વેપારીઓ પાસેથી ઓક્સિજન મળતો નથી. ઓક્સિજનને અભાવે દર્દીની યોગ્ય અને પૂરતી સારવાર કરવી અશક્ય હોવાથી ડોકટરોને હોસ્પિટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

સિવિલમાં 20 ટનની ઓક્સિજન ટેન્ક
સિવિલ કેમ્પસની પ્રત્યેક હોસ્પિટલો પાસે પોતાની અલાયદી અને 20 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક હોવાથી ઓક્સિજનની અછત પડવાની શક્યતા નહિવત હોવાનું હોસ્પિટલનું કહેવું છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, 1200 બેડ સહિત અન્ય 6 હોસ્પિટલમાં હાલમાં 2 હજારથી વધુ કોરોના દર્દી સારવાર હેઠળ છે. તેમજ હોસ્પિટલમાં દાખલ થતાં 80 ટકા દર્દીઓ ઓક્સિજનની જરૂરિયાતવાળા હોય છે. ત્યારે સિવિલની 1200 બેડ હોસ્પિટલની 20 ટનની ટેન્ક દિવસમાં ત્રણ વાર ભરવી પડે છે. જેથી ઓક્સિજનની કોઈ અછત નથી.

( Source – Divyabhaskar )