રેમડેસિવિર ઇન્જેક્શનની પ્રકિયા : એક ઇન્જેક્શન બનતા 5 દિવસ લાગે છે, જ્યારે દર્દી પાસે 20 દિવસે પહોંચે છે; 2થી 8 ડિગ્રીએ સપ્લાય કરવું પડે છે

રેમડેસિવિર ઇન્જેક્શનની પ્રકિયા : એક ઇન્જેક્શન બનતા 5 દિવસ લાગે છે, જ્યારે દર્દી પાસે 20 દિવસે પહોંચે છે; 2થી 8 ડિગ્રીએ સપ્લાય કરવું પડે છે

ભારતીય કંપનીઓએ 3 મહિના રેમડેસિવિરનું ઉત્પાદન કર્યું નહીં, જરૂરિયાતને પહોંચી વળતાં હજુ 7-10 દિવસ લાગશે

કોરોનાના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવતાં તેની સારવાર માટે વપરાતાં રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો બજારોમાં ખૂટી પડ્યો છે. ભારતમાં હાલ સાત કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શનોનું ઉત્પાદન કરે છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મોટાભાગની કંપનીઓએ ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે ત્રણ મહિનાના ગાળા દરમિયાન રેમડેસિવિરનું ઉત્પાદન લગભગ શૂન્ય જેટલું કરી દીધું હતું. આ કારણોસર હાલ ખેંચ વર્તાઇ રહી છે, અને જરૂરિયાતને પહોંચી વળતાં હજુ અઠવાડિયાથી દસ દિવસનો સમય લાગશે. સૂત્રોએ ઉમેર્યું કે નવેમ્બર બાદ માંગ ઘટી હતી. આ ઇન્જેક્શન જલ્દી એક્સપાયર થતાં હોવાથી તેનું ઉત્પાદન અટકાવી દેવાયું હતું.

2થી 8 ડિગ્રીએ રાખી ટ્રાન્સપોર્ટ કરવું પડે છે
રેમડેસિવિર ઇંજેક્શનનું એક વાયલ બનતાં ઓછામાં ઓછાં પાંચ દિવસ લાગે છે. તે પછી તેનાં ઉત્પાદન પછી તેનું સ્ટરિલીટી ટેસ્ટિંગ કરતાં 14 દિવસ લાગે છે, તે પછી 2 થી 8 ડિગ્રી તાપમાને તેને સંગ્રહિત કરીને ટ્રાન્સપોર્ટ કરતાં ત્રણથી ચાર દિવસ લાગી શકે. આમ ઇન્જેક્શનનું એક દર્દી સુધી પહોંચતા વીસ દિવસ જેટલો સમય લાગે છે.

પૂરતો કાચો માલ નહીં હોવાથી વિલંબ થશે
રેમડેસિવિરનું ઉત્પાદન કરવા માટે 25થી 30 જેટલાં કેમિકલ કાચા માલ તરીકે વપરાય છે જેને ફાર્મસીની ભાષામાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એપીઆઇ તરીકે ઓળખાય છે. હાલ ઉત્પાદક કંપનીઓ પાસે એપીઆઇનો વર્તમાન જરૂરીયાતને પહોંચી વળવા પૂરતો જથ્થો નથી. તેને બહારથી મંગાવવો પડશે અને તેમાં વાર લાગી શકે.

( Source – Divyabhaskar )