સરકાર ઇચ્છે તો માત્ર આર્થિક અનામત જ રહી શકે : સુપ્રીમ
એક સમયે બધી જ અનામત જતી રહેશે અને
જાતિ આધારીત અનામત રાખવી કે નહીં તે નક્કી કરવાનું કામ સરકારનું છે તેવી સ્પષ્ટતા
નવી દિલ્હી : હાલ સુપ્રીમ કોર્ટમાં મરાઠા અનામત મામલે સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બધી જ અનામત દુર થઇ શકે અને માત્ર આિર્થક રીતે નબળા વર્ગની અનામત જ રહી શકે છે. પણ આમ કરવું કે નહીં તે સરકારના હાથમાં છે.
પાંચ જજો અશોક ભુષણ, એલ. નાગેશ્વર રાવ, એસ. અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા, એસ. રવિન્દ્ર ભટની બંધારણીય બેંચે કહ્યું હતું કે જાતી આધારીત અનામત રાખવી જોઇએ કે નહીં તે સરકારને નક્કી કરવાનું હોય છે. કેમ કે આ પોલીસી આધારીત મામલો છે જે સંસદ હેઠળ આવે છે.
સાથે બેંચે એમ પણ કહ્યું હતું કે બધી જ અનામત જતી રહે અને માત્ર ઇકોનોમિકલી વીકર સેક્શન્સ (ઇડબલ્યુસી) અનામત જ રહે તેની એક શરૂઆત થઇ શકે છે. આ નિવેદન પાંચ જજોની બેંચમાં સામેલ ન્યાયાધીશ અશોક ભુષણે કર્યું હતું. તેઓએ મૌખીક રીતે આ નિવેદન આપ્યું હતું.
હાલ સુપ્રીમ કોર્ટમાં અનામતના 50 ટકાની મર્યાદા અંગે અગાઉ જે ચુકાદો આપ્યો તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. અનામતનો આ વિવાદ મરાઠા અનામતને કારણે ઉઠયો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા અપાયેલી આ અનામતને સુપ્રીમમાં પડકારવામાં આવી છે.
( Source – Gujarat Samachar )