સામૂહિક આપઘાત કેસ : બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું: ‘અમારું ઉદાહરણ જોઈ લો; કોઈપણ વ્યક્તિ અમારી જેમ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન ફસાય

સામૂહિક આપઘાત કેસ : બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું: ‘અમારું ઉદાહરણ જોઈ લો; કોઈપણ વ્યક્તિ અમારી જેમ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન ફસાય

  • ભાવિન કહે છે કે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતાનો હતો; અમે વિરોધ કર્યો છતાં તેઓ ન માન્યા
  • પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું; આખરે સામૂહિક આત્મહત્યા માટે તૈયાર થવું પડ્યું

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે કરેલા સામૂહિક આપઘાત કેસમાં 3 સભ્યનાં મોત થયાં હતાં, જોકે સદનસીબે 3 સભ્ય બચી ગયા હતા. બચી ગયેલા ભાવિન સોનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા.

મારા પુત્રને દવા પિવડાવવાનું પણ મારા પિતાએ જ નક્કી કર્યું હતું
ભાવિન સોનીએ જણાવ્યું હતું કે અમારી તમામ સમસ્યા વર્ષ-2018ના ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ હતી. આ સમયે અમારા પરિવારમાં ઘણા ડિસ્પ્યૂટ હતા. ઉપરાંત મારા બિઝનેસમાં પણ મને પરેશાની હતી. આર્થિક પાયમાલીની પરિસ્થિતિથી કંટાળી સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતાનો હતો અને આ સિવાય અમારી પાસે બીજો ઓપ્શન પણ ન હતો, જોકે અમે બધાએ આ બાબતે તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પરંતુ મારા પિતા માન્યા ન હતા. મારા પુત્રને દવા પિવડાવવાનું પણ મારા પિતાએ જ નક્કી કર્યું હતું, અમે તેમ ન કરવા કહી નારાજગી દર્શાવી હતી. મારા પિતાના આ નિર્ણયમાં અમારી સંમતિ ન હતી, પરંતુ, તેઓ માન્યા ન હતા.

પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. એક તો અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું. આખરે એવો સમય આવ્યો કે બીજો કોઇ વિકલ્પ ન બચતાં અમારે સામૂહિક આત્મહત્યા માટે તૈયાર થવું પડ્યું.

બચી ગયેલા સભ્યોને વીવાયઓ 3 વર્ષ સુધી રાશનની સુવિધા પૂરી પાડશે
સમા સામૂહિક આપઘાતપ્રકરણમાં બચી ગયા અને નવજીવન પામેલા સદસ્યોને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન(વીવાયઓ) સંસ્થા 3 વર્ષ સુધી રાશન-દૂધ સહિતની સુવિધા પૂરી પાડશે. વીવાયઓના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું હતું કે વીવાયઓની પંચામૃત યોજના હેઠળ સોની પરિવારના નવજીવન પામેલા સદસ્યોની મદદ કરવામાં આવશે, જેમાં ચાલુ મહિનાથી આવનારાં 3 વર્ષ સુધી ઘઉં, ચોખા, દાળ, કઠોળ, તેલ, ઘી, ખાંડ, મસાલા અને દૂધ જેવી જીવનજરૂરી ચીજો પૂરી પાડવામાં આવશે. વીવાયઓ પંચામૃત યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત પરિવારો, વિધવા બહેનોને રાહત આપવાના આશયથી અન્નકિટ પૂરી પાડવામાં આવે છે.

સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે 3 માર્ચે સામૂહિક આપઘાત કર્યો હતો
વડોદરાના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્સ​ની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પરિવારને મકાન ખરીદનાર રૂપિયા 23.50 લાખ 4 માર્ચે પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ નાણાંની વ્યવસ્થા ન થતાં પરિવારે 3 માર્ચના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોનીએ 2 માર્ચેની રાત્રે પરિવારના સભ્યોને ભેગા કરીને 3 માર્ચના રોજ આપઘાત કરીને લેવાનું નક્કી કર્યું હતું. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રિયા પાસે સુસાઇટ નોટ લખાવી હતી. એ બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલી પેપ્સી અને મિરિન્ડા બધાને પીવડાવી દીધી હતી.

( Source – Divyabhaskar )