કોઈ રૂમ ભરી પૈસા આપે તો, પણ દીકરીના હત્યારાને માફ નહિ કરું: આઇશાના પિતા

કોઈ રૂમ ભરી પૈસા આપે તો, પણ દીકરીના હત્યારાને માફ નહિ કરું: આઇશાના પિતા

  • આઈશાને તેનાં સાસરિયાંએ ત્રણ દિવસ ભૂખી રાખી હોવાનો પિતાનો આક્ષેપ
  • અગાઉ પણ દહેજ માટે અપાતો ત્રાસ સહન ન થતાં આઇશાએ આપઘાત કરવાનું નક્કી કર્યું હતું

સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આઇશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આઇશાના પિતાએ કહ્યું કે, ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’

લિયાકતઅલી મકરાણીએ જણાવ્યું હતું કે, મારી દીકરીની જિંદગીને દોજખ બનાવી તેને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિને હું ક્યારેક માફ નહીં કરું. મારી દીકરીને દહેજ માટે એટલો ત્રાસ અપાતો હતો કે, તેને સતત ત્રણ દિવસ સુધી તેના સાસરિયાંએ જમવાનું આપ્યું ન હતું. તે ફોન કરીને અમને કહી ન શકે તે માટે તેનો ફોન પણ છીનવી લીધો હતો. આઈશાએ કોઈના ફોન પરથી મને કોલ કરીને કહ્યું કે, મેં ત્રણ દિવસથી કશું ખાધું નથી, મને આ લોકો પરેશાન કરે છે. તે વખતે આઈશાએ મને એમ પણ કહ્યું હતું કે, પપ્પા હું એટલી હદે કંટાળી ગઈ છંુ કે, હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળી હું હચમચી ગયો હતો. હું ઝાલોર ગયો અને તેને લઈ અમદાવાદ આવી ગયો હતો. ગઈ 21 ઓગસ્ટે વટવામાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ નહિ કરું. મારે ન્યાય જોઈએ છે.

‘વીડિયોને ડીડી તરીકે ગણી, ફાસ્ટટ્રેક કેસ ચલાવી આરોપીને સજા કરવી જોઈએ’
ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બર ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે, આઇશાનો કેસ અત્યંત દુ:ખદ છે. આ ઘટના મનને હચમચાવી દે તેવી છે. જોકે કાયદાની દૃષ્ટિએ આ સમગ્ર ઘટનાક્રમ આઈપીસીની કલમ 306ની વ્યાખ્યાને ફિટ બેસે છે. હું માનું છું કે, આ કેસમાં આરોપીને ચોક્કસ સજા થશે. જો સંજોગવશાત્ કોઈ સાક્ષી ફરી જાય કે વિપરીત પરિસ્થિતિ સર્જાય તો પણ મરતા પહેલાં આઇશાએ જાતે લીધેલો વીડિયો જ તેના ડાઇંગ ડેકલેરશન તરીકે કન્સિડર કરીને આરોપીને સજા કરી શકાય છે. આ કિસ્સામાં ફાસ્ટટ્રેક કેસ ચલાવી આરોપીને સજા કરવી જોઈએ.

‘દહેજ મામલે એક અલગ હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ’
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, આપણી આસપાસ જાહેરાતોના સંખ્યાબંધ બોર્ડ લાગેલા જોવા મળે છે, પરંતુ કયાંય સમાજના દૂષણ સમાન દહેજ મુદ્દે જાગૃતિનું બોર્ડ જોવા મળતું નથી. દહેજ પ્રતિબંધક કાયદો 1961થી અમલમાં છે, પરંતુ સમાજમાં જાગૃતિના અભાવે કેટલીય દીકરીઓ દહેજના ખપ્પરમાં હોમાઈને પોતાનો જીવ આપી દેતી હોય છે. આ સંજોગોમાં મહિલા હેલ્પલાઇનની જેમ દહેજના દૂષણ સામે લડવા માટેનું માર્ગદર્શન આપતી દહેજ મુદ્દે ખાસ હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ.

એટલી હદે ટોર્ચર કરી હશે કે તેણે આપઘાત કરવો પડ્યો
હાઈકોર્ટના એડવોકેટ યશમા માથુરે જણાવ્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પોતાનું લગ્નજીવન ભંગ કરવા ઇચ્છતી હોતી નથી. આ કેસમાં આઇશાને એટલી હદે દહેજ માટે પરેશાન કરાઈ હશે કે તેની માનસિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ કે તેણે પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ, તો વિચારો કે કેટલી હદે તેને ટોર્ચર કરવામાં આવી હશે.

દીકરાનો હાથ ઉપર જ હોય તેવી માનસિકતા દૂર કરવાની જરૂર
અનહદ સંસ્થાના સામાજિક મહિલા કાર્યકર નૂરજહાં દીવાને જણાવ્યું હતું કે, દહેજના ખપ્પરમાં હંમેશાં મહિલા જ હોમાય છે. આધુનિકતાની વાતો કરતા સમાજમાં દીકરી હોય તે હંમેશાં શા માટે દબાણમાં રહે અને દીકરો હોય તેનો હાથ ઉપર રહે તેવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. તો જ આયેશા જેવી દીકરીઓને મરતા બચાવી શકાશે.

( Source – Divyabhaskar )