હવે અમદાવાદમાં લારી પરથી પણ ખાવાનું ઓનલાઈન મંગાવી શકશો, મોદી સરકારે ભર્યું આ પગલું

હવે અમદાવાદમાં લારી પરથી પણ ખાવાનું ઓનલાઈન મંગાવી શકશો, મોદી સરકારે ભર્યું આ પગલું

રસ્તા પર લારી લઈને ખાવાનું વેચતાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ઓનલાઈન લાવવા માટે મોદી સરકાર એક અનોખી પહેલ લઈને આવી છે. આવાસ તેમજ શહેરી વિકાસ મંત્રાલયે તેના માટે ફૂડ ડિલિવરી એપ સ્વિગી સાથે હાથ મિલાવ્યો છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આ પહેલ કરવામાં આવી છે. તેમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને મોટું બજાર મળશે અને પોતાનો કારોબાર વધારવામાં મદદ મળશે. હાલ અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, ઈન્દોર અને વારાણસીમાં આ પાયલોટ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ આ પાંચ શહેરોમાં 250 વેન્ડર આ પ્રોગ્રામ સાથે જોડાયા છે. સાથે જ પીએમ સ્વનિધિ ડેશબોર્ડનું અપડેટેડ વર્ઝન લોન્ચ, 50 લાખથી વધારે લારીવાળાને ફાયદો થશે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ખુબ જ જરૂરી છે. તેવામાં આ પહેલ શહેરોમાં સ્ટ્રીટ વેન્ડર્સને પોતાનો કારોબાર વધારવામાં એક વરદાનની જેમ સાબિત થશે. મંત્રાલય આ માટે તમામ સ્ટેકહોલડરો, મ્યુનિસિપલ કોર્પોરેશન, FSSAI, સ્વિગી અને GST અધિકારીઓ વચ્ચે સમન્વયનું કામ કરી રહી છે.

આ રીતે કરાશે મદદ

સ્ટ્રીટ વેન્ડર્સને પાન અને એફએસએસએઆઈ રજિસ્ટ્રેશન હાંસલ કરવામાં મદદ કરવામાં આવશે. સાથે જ ટેક્નોલોજી, મેન્યુ ડિઝિટાઈઝેશન, કિંમત, સાફસફાએઈ અને પેકેજિંગની બેસ્ટ રીતોની સમજ આપવામાં આવશે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આ યોજનાને સમગ્ર દેશમાં તબક્કાવાર લાગુ કરવામાં આવશે. મંત્રાલયની આ પહેલથી ઓનલાઈન ફૂડ ડિલિવરીના ક્ષેત્રના લોકપ્રિય પ્લેટફોર્મ સ્વિગીથી સ્ટ્રીટ ફૂડ વેન્ડર ન ફક્ત ટેક્નોલોજીની રીતે સશક્ત બનશે પણ તેઓની આવક વધારવા માટેનો મોટો રસ્તો મળશે.

પીએમ સ્વનિધિ યોજના

મંત્રાલયે પીએમ સ્વનિધિ યોજના 1 જૂન 2020થી લાગુ કરી છે. તેનો ઉદ્દેશ કોવિડ 19 મહામારીને કારણે લોકડાઉનથી ખરાબ રીતે પ્રભાવિત થયેલ સ્ટ્રીટ વેન્ડર્સને પોતાની આજીવિકા ફરીથી શરૂ કરવા માટે સસ્તા દરે નાની લોન ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના અંતર્ગત 24 માર્ચ 2020 પહેલાં શહેરોમાં સ્ટ્રીટ વેન્ડર્સ તરીકે કામ કરનાર 50 લાખથી વધારે સ્ટ્રીટ વેન્ડર્સને લાભ પહોંચાડવાનું લક્ષ્ય છે. આ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સ પોતાનું કામ શરૂ કરવા માટે 10 હજાર રૂપિયાની નાની લોન લઈ શકે છે, જેને 1 વર્ષના સમયમાં ચૂકવવાની હોય છે.