સ્વિસ બેંક કરશે મોટો ધડાકો, સોંપશે કાળુ નાણું જમા કરાવનારા ભારતીયોની યાદી

સ્વિસ બેંક કરશે મોટો ધડાકો, સોંપશે કાળુ નાણું જમા કરાવનારા ભારતીયોની યાદી

છેલ્લા 5 વર્ષોમાં મોદી સરકારે બ્લેકમની પર ગાળીયો કસવા માટે નોટબંધી અને બેનામી પ્રોપર્ટીથી જોડાયેલા અનેક મહત્વનાં નિર્ણયો લીધા. હવે સરકારનાં બીજા કાર્યકાળમાં બ્લેકમનીને લઇને જે ખબર આવી છે કે એ થોડીક રાહત આપનારી છે. સ્વિસ બેંકોમાં કોના ખાતા છે એ વાતથી આવતીકાલે પડદો ઊંચકાશે. સ્વિટ્ઝરલેન્ડમાં બેંક ખાતા રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી આવતીકાલે ટેક્સ અધિકારીઓ પાસે ઉપલબ્ધ થઇ જશે.

આ પગલાને લઇને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કહ્યું કે, “કાળા ધનની સામે સરકારની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સ્વિસ બેંકની ગોપનીયતાનો યુગ આખરે સપ્ટેમ્બરથી ખત્મ થઇ જશે.”

સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતિ બનાવે છે. તો સીબીડીટીએ જણાવ્યું કે ભારતને સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય નાગરિકોનાં વર્ષ 2018માં બંધ કરવામાં આવેલા ખાતાઓની જાણકારી પણ મળશે.

સીબીડીટીનું કહેવું છે કે સૂચના આદાન-પ્રદાનની આ વ્યવસ્થા શરૂ થયાનાં ઠીક પહેલા ભારત આવેલા સ્વિટ્ઝરલેન્ડનાં એક પ્રતિનિધિમંડળે મહેસૂલ સચિવ એબી પાંડેય, બૉર્ડનાં ચેરમેન પીસી મોદી અને બૉર્ડનાં સભ્ય અખિલેશ રંજનની સાથે બેઠક કરી. 29-30 ઑગષ્ટની વચ્ચે આવેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિટ્ઝરલેન્ડનાં આંતરરાષ્ટ્રિય નાણાં મુદ્દાનાં રાજ્ય સચિવાલયનાં કર વિભાગમાં ઉપ પ્રમુખ નિકોલસ મારિયોએ કરી.

આ વર્ષે લોકસભામાં જૂન મહિનામાં નાણાં પર સ્ટેન્ડિંગ કમિટીની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી. આના પ્રમાણે વર્ષ 1980થી વર્ષ 2010ની વચ્ચે 30 વર્ષ દરમિયાન ભારતીયો દ્વારા લગભગ 246.48 અબજ ડૉલર એટલે કે 17,23,300 કરોડ રૂપિયાથી લઇને 490 અબજ ડોલર એટલે કે 34,30,000 કરોડ રૂપિયાની વચ્ચે કાળુ ધન દેશની બહાર મોકલ્યું.