સુરતમાં મોડીરાત્રે કરૂણાંતિકા, કીમ ચોકડી પર કાળમુખી ટ્રકે નિંદર માણી રહેલા 13 શ્રમિકોને કચડ્યાં, 8 ગંભીર

સુરતમાં મોડીરાત્રે કરૂણાંતિકા, કીમ ચોકડી પર કાળમુખી ટ્રકે નિંદર માણી રહેલા 13 શ્રમિકોને કચડ્યાં, 8 ગંભીર

રાજ્યમાં અકસ્માતોની વણઝાર યથાવત છે, ત્યારે સુરતના કીમ માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર નિંદર માણી રહેલા શ્રમજીવી પરિવાર માટે યમરાજ બનીને આવેલા કાળમુખા ડમ્પરે 12 લોકોને કચડી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં એકનું સારવાર વેળાં મોત નીપજતાં મૃતાંક 13 પર પહોંચ્યો હતો. વધુમાં બનાવની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. તેમજ ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મોડીરાત્રે ઘટના સ્થળે જ જાણવા મળ્યું હતું કે કીમથી માંડવી તરફ જતાં રસ્તામાં પાલોદ ગામ આવ્યું છે. આ ગામની સીમમાં રસ્તાના કિનારે શ્રમિકો પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે. મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ જઈ રહેલા GJ-X-0901 નંબરના ડમ્પર ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી.

ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલા પુટપાથ પર ચઢી જતાં સૂતેલા 20 શ્રમિકોને કચડી નાંખ્યા હતા. ભર નિંદર માણી રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતી. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં રાકેશ રૂપચંજ નામના ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વધુમાં બનાવ અંગે પોલીસને જાણ કરતાં DySp સી.એન.જાડેજા, બારડોલી DySp રૂપલ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયા હતા. તેમજ તાત્કાલિક ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ ડમ્પરચાલક અને ક્લિનરને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા હતા. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોલાનું પોલીસે જણાવ્યું હતું.

( Source – Sandesh )