સમારકામને કારણે નિર્ણય : અમદાવાદમાં 61 વર્ષ જૂનો નહેરુબ્રિજ પહેલીવાર 45 દિવસ માટે આજથી 27 એપ્રિલ સુધી બંધ રહેશે,

સમારકામને કારણે નિર્ણય : અમદાવાદમાં 61 વર્ષ જૂનો નહેરુબ્રિજ પહેલીવાર 45 દિવસ માટે આજથી 27 એપ્રિલ સુધી બંધ રહેશે,

  • વાહનચાલકોએ લાલદરવાજા તરફ જવા માટે બીજા રૂટ તરીકે એલિસબ્રિજ પરથી વિક્ટોરિયા ગાર્ડન થઈને જવું પડશે
  • લાલદરવાજા તરફથી આવવા પણ એલિસબ્રિજ થઈ આશ્રમ રોડ તરફ જ જઈ શકાશે

શહેરના સૌથી વ્યસ્ત અને મહત્ત્વના નહેરૂબ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી રવિવારથી 45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. નહેરુ બ્રિજની બેરિંગ સહિતની રિપેરિંગ કામગીરી શનિવારથી જ શરૂ થઈ ગઈ છે. મ્યુનિ.એ 3.25 કરોડના ખર્ચે સેનફીલ ઈન્ડિયા નામની કંપનીને રિપેરિંગનું કામ સોંપ્યું છે. 1960માં બનેલા 442.34 મીટર લાંબા અને 22.80 મીટર પહોળા બ્રિજનું પહેલીવાર મોટાપાયે રિપેરિંગ થઈ રહ્યું છે. બ્રિજના 7 સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરિંગને બદલવી પડે તેમ હોવાથી 126 અલાસ્ટોમેરિક બેરિંગથી તેને રિપ્લેશ કરાશે. આ ઉપરાંત 320 મીટર લાંબા એક્સપાન્શન જોઇન્ટના રિપ્લેસમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

વિકલ્પ તરીકે એલિસબ્રિજનો ઉપયોગ
નહેરુ બ્રિજ પરથી રોજના સરેરાશ દોઢ લાખ વાહન પસાર થતા હોય છે. વિકલ્પ તરીકે એલિસબ્રિજનો ઉપયોગ કરવાનું મ્યુનિ.અે આયોજન કર્યું છે. આમ એલિસબ્રિજ પરથી રોજના સરેરાશ 75 હજાર વાહન પસાર થાય છે ત્યારે તેના પર બીજા અંદાજે 1 લાખ વાહનનું ભારણ વધવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ શકે છે.

બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડ પડી
સાબરમતી નદી પર વર્ષો પહેલાં બનેલા પાંચથી વધુ બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડ પડી છે. આ તિરાડ વાહનચાલકો માટે ભયજનક બની શકે છે, જેને કારણે બ્રિજ પરથી વાહન ચલાવવું ખાસ કરી ટૂ-વ્હીલરચાલકો માટે ભારે જોખમી બન્યું છે, જેને લઈ કોર્પોરેશન દ્વારા તમામ બ્રિજનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ગત વર્ષે સુભાષબ્રિજના સમારકામ બાદ આજથી નેહરુબ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામા આવી છે, જેના માટે વાહનચાલકો માટે બ્રિજ 45 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જાહેર નોટિસ બહાર પાડી જણાવ્યું છે કે એક્સપાન્શન જોઈન્ટ બદલવા અને સ્પાઇનને હાઇડ્રોલિક ક્રેનની મદદથી લિફ્ટ કરી બેરિંગ સર્વિસ કરવાની સ્પેશિયલ પ્રકારની કામગીરી કરવામાં આવશે, જેથી 13 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે.

1962માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો
સાબમરતી નદી ઉપર વર્ષ 1962માં નેહરૂબ્રિજ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ ઉપર કેટલીક જગ્યાએ તિરાડ પડી છે તેમજ બ્રિજ ઉપરની તિરાડોથી પિલરના બેરિંગ પણ ત્રાંસાં થઈ ગયાં હોવાનું જાણવા મળે છે. જેથી એનું રિપેરિંગ જરૂરી હોવાથી ભોપાલની એક કંપનીને રિપેરિંગ માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. જૂનાં બેરિંગ કાઢીને નવાં લગાડાશે તેમજ 12 જેટલા નેહરૂબ્રિજ ઉપરના જોઇન્ટ એક્સ્પાન્શનનું રિપેરિંગ પણ હાથ ધરાશે. અગાઉ સુભાષબ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. સુભાષબ્રિજ કરતાં નેહરૂબ્રિજનું કામ પડકારજનક હોવાનું મનપાના અધિકારીઓ માની રહ્યા છે. નેહરૂબ્રિજના રિપેરિંગ બાદ ઈજનેર વિભાગ દ્વારા ગાંધીબ્રિજને રિપેર કરાશે.

દિવાળી પહેલા 7 દિવસ બ્રિજ બંધ કરાયો હતો
દિવાળી પહેલા પણ મ્યુનિ. દ્વારા આ બ્રિજ પર તાત્કાલિક કરવી પડે તેવી કામગીરી માટે 7 દિવસ વાહન વ્યવહાર અટકાવ્યો હતો. જે સમયે 12 જેટલા પિલ્લરની રોકર-રોલરના બેરિંગની એટલે કે 144 જેટલા બેરિંગની ક્લિનિંગ-ગ્રિસીંગ કામગીરી કરવામાં આવી હતી.

આ રોડ પર ભારે ટ્રાફિકજામની શક્યતા

  • નહેરુ બ્રિજ બંધ થતાં એએમટીએસ સહિત અન્ય વાહન એલિસબ્રિજથી જશે જેના કારણે વિક્ટોરિયા ગાર્ડન, ટાઉનહોલ પાસે ટ્રાફિકજામ થશે.
  • એલિસ બ્રિજના આશ્રમ રોડ તરફના છેડે વી.એસ. હોસ્પિટલ તરફ હાલ ડ્રેનેજના કામ માટે ખોદકામથી અડધો રસ્તો બંધ છે. એવામાં નહેરુ બ્રિજ બંધ થતાં અહીં પણ ટ્રાફિક પરનું ભારણ વધી જશે.
  • એક તરફ ગુજરાત કોલેજના સર્પાકાર બ્રિજ તરફથી આવતો ટ્રાફિક અને આશ્રમ રોડ તરફનો ટ્રાફિક બંને સાથે મળતાં એલિસ બ્રિજના છેડે ટ્રાફિકનું ભારણ એકદમ વધી જશે. જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. અગાઉ સુભાષબ્રિજ બંધ કરાતા આરટીઓ સર્કલ ટ્રાફિક જામ થયો હતો.

( Source – Divyabhaskar )