શહેરમાં 1મેથી દુકાનદાર, સુપરમાર્કેટમાં માસ્ક ફરજિયાત, ફેરિયાઓને મફત મળશે માસ્ક- સેનિટાઈઝર: AMC

શહેરમાં 1મેથી દુકાનદાર, સુપરમાર્કેટમાં માસ્ક ફરજિયાત, ફેરિયાઓને મફત મળશે માસ્ક- સેનિટાઈઝર: AMC

રાજ્યમાં કોરોના વાયરસને લઈને કોહરામ મચેલો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કુલ કુલ 19 દર્દીના મોત નોંધાયા છે એ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 28 એપ્રિલે વધુ 40 દર્દી સાજા થયા છે. કુલ 3774 દર્દીમાંથી 34 વેન્ટીલેટર પર અને 3125ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 3774 પોઝિટિવ અને 52327ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજે કોરોના વાયરસને લઈને શહેરના લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં માહિતી આપી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શહેરના 48 વોર્ડમાં 115 સુપર સ્પ્રેડરને કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ હોટસ્પોટ એરિયામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુદર ઓછો કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે 3.50 લાખ કોટન માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ માસ્ક શાકભાજીના ફેરિયાઓને મફત માસ્કનું વિતરણ કરવામાં આવશે. એટલું જ નહીં. ફેરિયાઓને ફ્રીમાં સેનેટાઈઝર પણ આપવામાં આવશે. પરંતુ લોકડાઉનના સમયમાં અને લોકડાઉન બાદ શાકભાજીની લારીઓ પર સામાજિક અંતર જરૂરી છે.

વિજય નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં લૉકડાઉન ખુલે ત્યારે તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરી રાખવા અનુરોધ કર્યો હતો. એક મેથી દુકાનદાર, ફેરિયા અને સુપરમાર્કેટમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દુકાનદાર, ફેરિયાઓ માસ્ક નહીં પહેરે તો તેમને કડકમાં કડક દંડ વસૂલવામાં આવશે. સામાન્ય નાગરિક કરતા દુકાનદાર પાસેથી 5 ગણો દંડ વસૂલવા માટે વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં જણાવ્યું હતું.

તેમજ શાકભાજી વેચનારાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે. તેમજ 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.

વિજય નહેરાએ દંડની વિગતો આપતા જણાવ્યું હતું કે, જો માસ્ક વગર કોઈ ઝડપાશે તો સુપર માર્કેટમાં 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. માસ્ક વગરના ફેરિયાઓનું લાયસન્સ 3 મહિના માટે રદ પણ કરવામાં આવશે. એટલે 1મેથી સંપૂર્ણપણે માસ્કનો ફરજિયાત પણે પાલન થવું જોઈએ.

વિજય નહેરાએ છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે અમદાવાદમાં 164 કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત નિપજ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં આગળના દિવસની સરખામણીએ આંકડો ઘટ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, સિવિલમાં 608, HCGમાં 15 લોકો સારવાર હેઠળ છે. મધ્ય ઝોનમાં 941, દક્ષિણ ઝોનમાં 558 કેસ, ઉત્તર ઝોનમાં 195, પૂર્વ ઝોનમાં 149 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દર 10 લાખની વસ્તીએ 4100 ટેસ્ટિંગ થઈ રહ્યા હોવાની પણ વાત કરી હતી.