વિશ્વનાં 100 સૌથી મહાન સ્થળોની ટાઇમની યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો સમાવેશ

વિશ્વનાં 100 સૌથી મહાન સ્થળોની ટાઇમની યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો સમાવેશ

જીવનમાં એકવાર મુલાકાત લેવી જોઈએ એવાં સ્થળોની યાદીમાં સરદારના સ્ટેચ્યૂની ગણનામોદીએ ટ્વિટ કરીને આનંદ વ્યક્ત કર્યો ડેન્માર્કના કેમ્પ એડવેન્ચર, કેનેડાની સેન્ટ્રલ લાઇબ્રેરી, ઇજિપ્તના રેડ સી પર્વતો પણ સમાવાયા

ગાંધીનગર/રાજપીપળા: ગુજરાતમાં સરદાર સરોવર ખાતે સરદાર સાહેબની 182 મીટરની સૌથી ઊંચી પ્રતિમા બનાવી વિશ્વમાં ગુજરાત અને ભારતને એક અનોખું સ્થાન મળ્યું છે. પ્રસિદ્ધ ટાઇમ મેગેઝીને વર્ષ 2019ના વિશ્વના 100 સૌથી મહાન સ્થળોની યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો સમાવેશ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશ્વના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળમાં સામેલ થયો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

ભારતીયો,ગુજરાતીઓ માટે આ ગૌરવરૂપ ઘટના
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરદાર સાહેબની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાજંલિ આપી છે. આ પ્રતિમાના નિર્માણ, લોકાર્પણ પણ વડાપ્રધાન મોદીએ કરીને સરદાર સાહેબનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યુ છે. દેશ-વિદેશમાં વસતા સૌ ભારતીયો,ગુજરાતીઓ માટે પણ આ ગૌરવરૂપ ઘટના છે. તેમણે કહ્યું હતુ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં અનેક પ્રવાસનને લગતા સ્થળોનું નિર્માણ થઇ રહ્યું છે, જેને જોવાલાયક અત્યારે પણ દેશ-વિદેશના પર્યટકો આવે છે અને તેની સંખ્યામાં પણ વધારો થયો છે.

અત્યાર સુધીમાં 21.60 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત 
ટાઇમ મેગેઝીનની યાદીમાં ડેન્માર્કના કેમ્પ એડવેન્ચર, કેનેડાની સેન્ટ્રલ લાઇબ્રેરી, ઇજિપ્તના રેડ સી પર્વતો, કતારનું નેશનલ મ્યુઝિયમ, ન્યુયોર્કના નેશનલ કોમેડી સેન્ટર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. ટાઇમ મેગેઝીને જણાવ્યું હતું કે આ એવા સ્થળો છે જેની મુલાકાત દરમ્યાન વિશિષ્ટ અનુભવ થાય છે, જે જીવનભર યાદગાર રહે છે. 31 ઓક્ટોબર 2018 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યાં બાદથી અત્યાર સુધીમાં 21.60 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારોમાં વિવિધ 30 જેટલા પ્રોજેક્ટો ઉભા કરવામાં આવી રહ્યાં છે.

31 ઓક્ટોબરે સ્ટેચ્યૂની આસપાસ 30 પ્રૉજેક્ટ ખુલ્લા મુકાશે
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં બટરફ્લાય ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર, સફારી પાર્ક સહિતના 30 જેટલાં અલગ અલગ પ્રોજેક્ટો આગામી 31મી ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાશે. જેના પગલે વિશ્વના જોવાલાયક 10 સ્થળોમાં એક સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે.

સ્ટેચ્યૂ ખાતે સુવિધાઓ વધારાશે
નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 15000 પ્રવાસીઓની લિમીટ રખાઈ હતી. વ્યુઇંગ ગેલેરીની મર્યાદા 5000ની હતી. 31 ઓક્ટોબર બાદ 50 હજાર પ્રવાસીઓ રોજના આવે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના માટે પાર્કિંગ ટિકીટ બારીથી લઈને પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ, અવર જવર માટે બસો સહિતની સુવિધાઓ વધારવામાં આવશે.