વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત એઈમ્સ ખાતે આજે સવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત એઈમ્સ ખાતે આજે સવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ડોક્ટરો તેમજ વૈજ્ઞાનિકોના શાનદાર કામ માટે PMએ આભાર માન્યો હતો

કોરોના વેક્સિનેશનનો બીજો ફેઝ આજથી સામાન્ય લોકો માટે શરૂ થાય તે પેહલાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી છે. તેમણે આજે સવારે અંદાજે 6.30 વાગે દિલ્હી AIIMSમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. તેમને પોંડિચેરીની નર્સ પી નિવેદાએ વેક્સિન લગાવી હતી. આ દરમિયાન જે બીજી નર્સ હાજર હતી તે કેરળની હતી.

મોદીએ વેક્સિન લગાવતા સમયની હસતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમ, તેમણે વેક્સિન લઈને સામાન્ય લોકોના મનની શંકાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તે સાથે જ તેમણે વિપક્ષે વેક્સિન અને વડાપ્રધાન સામે ઉભા કરેલા સવાલોનો જવાબ પણ આપી દીધો છે.

કોરોના વેક્સિન લીધા બાદ PMએ ટ્વીટ કર્યું હતું

દરેક યોગ્ય લોકોને વેક્સિન લગાવવા મોદીની અપીલ
મોદીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું છે કે, કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવામાં આપણાં ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે તે અસાધારણ છે. હું દરેક યોગ્ય લોકોને અપીલ કરુ છું કે, તેઓ વેક્સિન લગાવે. આપણે સાથે મળીને દેશને કોરોના મુક્ત બનાવવાનો છે.

બીજા ફેઝમાં કોને-કોને રસી આપવામાં આવશે?
– 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે
– 45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકો રસી આપી શકશે.
– સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
– ગંભીર બીમારીવાળા લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે
– કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે

કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ નક્કી કર્યા
– રસીની એક માત્રા માટે 250 રૂપિયા લેવામાં આવશે.
– જેમાં રૂ.150 રસીના અને 100 સર્વિસ ચાર્જ થશે.
– સરકારી હોસ્પિટલોમાં કોરોના રસી વિના મૂલ્યે આપવામાં આવશે

બીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળશે
આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.

વેક્સિનેશન પર ઉઠ્યાં સવાલો
કોરોના રસીકરણના પ્રથમ ફેઝ શરૂ થયા બાદ વિપક્ષના કેટલાક લોકોએ રસી ઉપર સવાલ ઉઠાવતા કહ્યું કે, વડાપ્રધાનને પોતે સૌથી પહેલા કોરોનાની રસી લેવી જોઈતી હતી. વિપક્ષે કહ્યું કે, કોવેક્સિનને ફેઝ-3ના ટ્રાયલ વિના જ ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી હતી. જો રસી એટલી વિશ્વસનીય છે, તો સરકાર સાથે સંકળાયેલા લોકો તેનો ડોઝ કેમ નથી લઈ રહ્યાં?

દેશના 30 હજાર કેન્દ્રોમાં રસી આપવામાં આવશે
આજથી(સોમવાર) રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ તબક્કામાં 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રસી અપાશે. આ માટે Co-WIN 2.0 પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર જઈ નોંધણી કરાવી શકશે. નોંધણી માટે રસીકરણના કેન્દ્ર પર પણ જઈ શકાશે. દેશભરના 10 હજાર જેટલા સરકારી કેન્દ્રો અને 20 હજાર જેટલા ખાનગી હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં રસી આપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. સરકારી હોસ્પિટલમાં મફતમાં રસી મૂકાશે જ્યારે ખાનગી હોસ્પિટલમાં રસી માટે રૂ. 250 આપવા પડશે. દિલ્હીમાં 192 જેટલી સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં રસી અપાશે. કેરળમાં પણ 300 ખાનગી હોસ્પિટલમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

સીએમ રૂપાણીના પત્ની પણ આજે વેક્સિન લેશે
સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ 45થી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને રસી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ સોમવારે વેક્સિન લેશે. તેઓ ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલમાં સવારે 9 વાગે રસી મૂકાવવા માટે પહોંચશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

( Source – Divyabhaskar )