મોબાઇલ ટેરિફ અને ડેટા પ્લાનમાં તોતિંગ વધારો થતાં ફરી આવશે મિસકોલ યુગ

મોબાઇલ ટેરિફ અને ડેટા પ્લાનમાં તોતિંગ વધારો થતાં ફરી આવશે મિસકોલ યુગ

એજીઆર પેટે સરકારને હજારો કરોડ રૂપિયા ચૂકવવાની સમસ્યાનો સામનો કરી રહેલી મોબાઇલ ઓપરેટર કંપનીઓ વોડાફોન આઇડિયા, એરટેલ અને રિલાયન્સ જિયોએ ટેરિફમાં ૪૦ ટકા જેટલો તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. વોડાફોન આઇડિયા લિમિટેડે મંગળવારથી અમલમાં આવે એ રીતે મોબાઇલ સેવા અને ડેટાના દરમાં વધારો કર્યો છે અને રવિવારે કંપનીએ કરેલી જાહેરાત મુજબ આ વધારો ૪૨ ટકા સુધીનો છે. રિલાયન્સ  જિયોએ રવિવારે જાહેરાત કરી હતી કે ૬ ડિસેમ્બરથી એના નવા વોઈસ  અને ડેટા ટેરિફ અમલમાં આવશે અને આ વધારો ૪૦ ટકા જેટલો  રહેશે. એરટેલે જણાવ્યું હતું કે મંગળવારથી અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં ૪૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વોડાફોન આઇડિયા વોડાફોન સિવાયના બીજા નેટવર્ક પર કરવામાં આવતા ફોન માટે પ્રતિ મિનિટ ૬ પૈસાનો ચાર્જ પણ લેશે. આવો આઉટગોઇંગ ચાર્જ રિલાયન્સ જિયોએ લેવાની શરૂઆત કરી છે.  કંપનીએ જાહેરાત કરી છે કે હાલમાં જે અનલિમિટેડ કેટેગરીના પ્લાન છે એને ૩ ડિસેમ્બરથી નવા પ્લાન હેઠળ રિપ્લેસ કરી દેવાશે અને માર્કેટના રિસ્પોન્સના આધારે નવા પ્લાન મૂકવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે, અનલિમિટેડ કેટેગરી હેઠળના પ્લાનમાં પ્રોમિસ કરાયેલી સ્પીડ પર સીમિત ડેટા અને રોજ ૧૦૦ એસએમએસની મર્યાદા છે.  ૩૬૫ દિવસના અનલિમિટેડ કેટેગરીના પ્લાનમાં સૌથી વધારે ૪૨ ટકા જેટલો મોંઘો થયો છે. પહેલાં એનો દર ૧,૬૯૯ રૂપિયા હતો પણ નવો દર ૨,૩૯૯ રૂપિયા છે.   ૮૪ દિવસની વેલિડિટી વાળા પ્લાનનો દર ૪૫૮ રૂપિયાના સ્થાને ૫૯૯ રૂપિયા છે અને એમાં રોજ ૧.૫ જીબીની ડેટા ઓફર કરાશે. આમ આ પ્લાનમાં ૩૧ ટકાનો વધારો થયો છે.

વોડાફોન :નવા પ્રીપેડ પ્લાન જાહેર

વોડાફોનના નવા પ્લાન મુજબ કંપનીએ પ્રીપેડ ગ્રાહકો માટે ૨ દિવસ, ૨૮ દિવસ, ૮૪ દિવસ અને ૩૬૫ દિવસની વેલિડિટી ધરાવતા પ્લાનની જાહેરાત કરી છે. જૂના પ્લાનની સરખામણીમાં નવા પ્લાન આશરે ૪૨ ટકા મોંઘાં છે. આ પ્લાન ૩ ડિસેમ્બરથી આખા દેશમાં ઉપલબ્ધ થશે.

એરટેલ : પ્રતિદિન રૂ. ૨.૮૫નો વધારો

એરટેલે મંગળવારથી અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં દિવસે ૫૦ પૈસાથી ૨.૮૫ રૂપિયા વધારો કર્યો છે. કંપનીએ ૨ દિવસ, ૨૮ દિવસ, ૮૪ દિવસ અને ૩૬૫ દિવસની વેલિડિટી ધરાવતા નવા અનલિમિટેડ પ્લાન પણ શરૂ કર્યા છે. કુલ વધારો આશરે ૪૧.૧૪ ટકા જેટલો રહેશે.

જિયો : નવા ઓલ ઈન વન પ્લાન

રિલાયન્સ  જિયોએ રવિવારે જાહેરાત કરી હતી કે ૬ ડિસેમ્બરથી એના નવા વોઈસ  અને ડેટા ટેરિફ અમલમાં આવશે અને આ વધારો ૪૦ ટકા જેટલો  રહેશે. ગ્રાહકોને નવા પ્લાન હેઠળ ૩૦૦ ટકા  વધારે લાભ આપવામાં આવશે. જિયો ઓલ ઈન વન અનલિમિટેડ  વોઈસ અને ડેટા પ્લાન શરૂ કરશે.

BSNLને રૂ.૧૧,૦૦૦ કરોડનું નુકસાન કેવી રીતે થયું? : કોંગ્રેસ

ટેલિકોમ સેક્ટરે ડેટા અને કોલ દરોમાં વધારો કરવાની શરૂઆત કરી છે એ મુદ્દે નિવેદન આપતાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે મોબાઈલ અને ડેટાના દરમાં વધારો થઈ ગયો છે. યુપીએ ૧ અને ૨ વખતે સરકારનો મૂળ મંત્ર હતો, ‘જિયો ર જિને દો’ પણ ભાજપ સરકારનો મંત્ર છે ‘જિયો ર બાકી કો મરને દો’. યુપીએ વખતે ૧૩ પ્રાઇવેટ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર હતા. એમટીએનએલ અને બીએસએનએલ પણ હતા. બેઉમાં પ્રતિસ્પર્ધા હતી અને એથી કોલ અને ડેટાના દર દુનિયામાં સૌથી ઓછા હતા. સરકારે દુર્ગમ વિસ્તારો, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ટેલિફોન સેવા આપવાનું કામ બીએસએનએલને સોંપ્યું હતું પણ આ સરકારે આ પ્રોજેક્ટ ખાનગી કંપનીઓને સોંપી દીધા છે. આ સરકારે ખાનગી કંપનીઓને કમાણી કરવાની છૂટ આપી છે અને સરકારી કંપનીઓને ૪જી સર્વિસ પણ આપવા દીધી નથી. યુપીએ સરકાર વખતે ૭,૮૩૮ કરોડનો નફો કરનારી સરકારી ટેલિકોમ કંપની શા માટે ૧૧,૦૦૦ કરોડના નુકસાનમાં આવી? આ કેવી સરકાર છે જે રિઝર્વ બેંક પાસેથી પૈસા લે છે અને નફો કરતી સરકારી કંપનીઓ વેચી રહી છે.

વોડાફોન આઇડિયા પર આશરે ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનું દેવું

વોડાફોન આઇડિયા પર આશરે ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને એ કારણ આપીને થોડા સમય પહેલાં કંપનીએ મોબાઇલ કોલ અને ડેટા ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિકમાં કંપનીએ ૫૦,૯૨૧ કરોડ રૂપિયાની જંગી ખોટ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂના મુદ્દે આપેલા ચુકાદાના કારણે ખોટનો આંકડો વધી ગયો હતો.