ભારતીયો ફસાયાં / H-1B વીઝાધારકો વતન આવવા માગે છે, પરંતુ તેમના બાળકોને મંજૂરી નથી મળી રહી

ભારતીયો ફસાયાં / H-1B વીઝાધારકો વતન આવવા માગે છે, પરંતુ તેમના બાળકોને મંજૂરી નથી મળી રહી

  • અમેરિકામાં જે H1-B વીઝાધારકોની નોકરી ગઇ, તેમને 60 દિવસમાં પરત આવવું પડશે
  • તેમના બાળકો અમેરિકામાં જન્મ્યા હોવાથી બાળકોને ભારત આવવાની મંજૂરી નથી મળી રહી
  • લોકડાઉનના કારણે સરકારે ગત મહિને નિયમોમાં બદલાવ કર્યો હતો

વોશિન્ગટન:. કોરોનાના કારણે વિદેશોમાં ફસાયેલાં ભારતીયોને સરકાર વંદે ભારત મિશન દ્વારા પરત લાવી રહી છે. પરંતુ બે દેશોના નિયમો લાગૂ હોવાના કારણે અમેરિકામાં ફસાયેલાં ભારતીયોને પરેશાની થઇ રહી છે. નોકરી માટે H-1B વીઝા પર અમેરિકા ગયેલા ઘણા લોકો તેમા સામેલ છે. અમેરિકામાં રહેતા આવા ભારતીયો જેમની નોકરી જતી રહી છે તેમને 60 દિવસમા અમેરિકા છોડવું પડશે. પરંતુ તેમના બાળકોને ભારત આવવાની મંજૂરી નથી મળી રહી કારણ કે તેમનો જન્મ અમેરિકામાં થયો છે. 

ન્યૂ જર્સીમાં રહેતા પાંડે દંપતિ(નામ અને સ્થળ બદલ્યું છે) સાથે પણ આવું જ થયું છે. તેમના બે બાળકો છે. એકની ઉંમર એક વર્ષ અને બીજાની 6 વર્ષની છે. બન્ને જન્મથી અમેરિકાના નાગરિક છે. પાંડે દંપતિને સોમવારે નેવાર્ક એરપોર્ટથી પાછું જવું પડ્યું. ભારતના વીઝા હોવા છતા એર ઇન્ડિયાએ તેમના બાળકોને ટિકિટ આપવાથી ઇનકાર કર્યો હતો. રત્ના પાંડેએ જણાવ્યું, ‘‘એર ઇન્ડિયા અને ભારતીય દૂતાવાસના અધિકારીઓનું વર્તન સારું હતું પરંતુ નિયમોથી બંધાયેલા હોવાના કારણે તેઓ મદદ ન કરી શક્યા. હું ભારત સરકારને માનવીય આધાર પર અપીલ કરીશ. ’’

અમેરિકામાં રહેવાનો સમય પણ વધારવાની અપીલ
છેલ્લા મહિને H1-B વીઝાધારક ભારતીયોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી હતી કે નોકરી ગુમાવ્યા બાદ 60 દિવસમાં દેશ છોડવાનો સમય વધારીને 180 દિવસ કરવામાં આવે. જોકે વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમેરિકામાં કેટલા H1-B વીઝાધારક ભારતીયોની નોકરી છૂટી છે તેના સત્તાવાર આંકડા હજુ ઉપલબ્ધ નથી. 

અમેરિકામાં બેરોજગારી દર વધ્યો
કોરોનાવાયરસના લીધે અમેરિકામાં બેરોજગારી દર ઘણો વધી ગયો છે. બે મહિનામાં 3.3 કરોડથી વધુ અમેરિકન નાગરિકો બેરોજગાર થયા છે. ત્યાં રહેતા જે ભારતીયોની નોકરી ગઇ છે તેમને આગામી સમયમાં પણ કોઇ આશા દેખાતી નથી. તેથી તેઓ ભારત આવવા માગે છે. 

સિંગલ મધર મમતા (નામ બદલ્યું છે)ની સ્થિતિ વધુ ગંભીર છે. તેનો દીકરો હજુ ત્રણ મહિનાનો છે. બાળક સાથે આવવાની મંજૂરી મળતી નથી કારણ કે તેનો જન્મ અમેરિકામા થયો છે. તેમણે કહ્યું, હું ભારત સરકારને અપીલ કરીશ. હું હવે અહીં રહેવા માગતી નથી. અહીં સ્થિતિ ખરાબ થતી જાય છે અને હું એકલી છું. 

વંદે ભારત અમાનવીય મિશન બની ગયું છે
વોશિન્ગટન ડીસીના રાકેશ ગુપ્તા ( બદલેલુ નામ)એ કહ્યું- વંદે ભારત મિશન એક માનવીય મિશન છે. પરંતુ તે નિશ્વિત રૂપથી અમાનવીય બની ગયું છે. ગુપ્તાએ પણ તેની નોકરી ગુમાવી દીધી છે અને 60 દિવસની અંદર ભારત આવવું જરૂરી છે. તેમને પત્ની સાથે પરત આવવાની મંજૂરી તો મળી પરંતુ તેમની અઢી વર્ષની દીકરીને રોકી દેવામાં આવી હતી.