ફાઈઝર ફરી વિવાદમાં:ફાઇઝરની વેક્સિન લગાવ્યાને એક સપ્તાહ બાદ કેલિફોર્નિયાની નર્સ કોરોનાથી સંક્રમિત

ફાઈઝર ફરી વિવાદમાં:ફાઇઝરની વેક્સિન લગાવ્યાને એક સપ્તાહ બાદ કેલિફોર્નિયાની નર્સ કોરોનાથી સંક્રમિત

અમેરિકાના કેલિફોર્નિયામાં 45 વર્ષની એક નર્સ કોરોના વાઇરસની વેક્સિન ફાઈઝર લગાવ્યાના એક સપ્તાહ બાદ કોવિડ-19થી સંક્રમિત થઈ છે. મેથ્યુ ડબ્લ્યુ નામની આ નર્સ બે અલગ અલગ હોસ્પિટલમાં કામ કરે છે. આ નર્સે ગત 18 ડિસેમ્બરે કોરોના વાઇરસની વેક્સિન લગાડાવી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. સ્વાસ્થ્યકર્મચારીએ કહ્યું હતું કે તેને વેક્સિન લગડાવ્યા બાદ કોઈ જ સાઈડ ઈફેક્ટ થઈ ન હતી.

ABC ન્યૂઝના રિપોર્ટ મુજબ, વેક્સિન લગાડાવી એના 6 દિવસ પછી ક્રિસમસની પૂર્વ સંધ્યાએ કોવિડ-19 યુનિટમાં કામ કર્યા બાદ નર્સ બીમાર થઈ ગઈ હતી. નર્સને ઠંડી લાગવા લાગી હતી અને પછી તેના શરીરમાં દુખાવો થવા લાગ્યો હતો. નર્સને થાકનો પણ અનુભવ થવા લાગ્યો હતો. ક્રિસમસ પછી નર્સ હોસ્પિટલ ગઈ અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

ઈમ્યુનિટી બનતાં 10-14 દિવસનો સમય લાગે છે
સાન ડિયેગોના ફેમિલી હેલ્થ સેન્ટર્સના ઈન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ ક્રિસ્ટિન રેમર્સે જણાવ્યું હતું કે “અમે વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલથી જાણીએ છીએ કે કોરોના વાઇરસ વિરુદ્ધ ઈમ્યુનિટી ઊભી કરવામાં 10થી 14 દિવસનો સમય લાગી શકે છે. હું સમજું છું કે કોરોના વાઇરસ વેક્સિનનો પહેલો ડોઝ લગભગ 50 ટકા સુરક્ષા આપે છે અને 95 ટકા સુરક્ષા માટે બીજા ડોઝની જરૂર હોય છે.” આ પહેલાં અમેરિકામાં સતત રેકોર્ડ સંખ્યામાં કોરોના વાઇરસના કેસ મળ્યા પછી ઉતાવળમાં ખાદ્ય અને ઔષધિ પ્રશાસને ફાઈઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી હતી.

ફાઇઝર-એનટેકનો દાવો તેમની રસી 95% અસરકારક
અમેરિકન ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95% અસરકારક સાબિત થઇ છે. કંપનીએ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)ને ઇમર્જન્સી એપ્રૂવલ મેળવવા માટે અરજી કરી છે.

વેક્સિન એડવાઇઝરી ગ્રુપે 17-4 વોટની સાથે નિર્ણય લીધો હતો કે ફાઈઝરનો ડોઝ 16 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં સુરક્ષિત છે. ફાઈઝરે દાવો કર્યો છે કે તેમની કોરોના સામેની વેક્સિન 95 ટકાથી વધુ અસરકારક છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેક્સિનને તાત્કાલિક મંજૂરી આપવા માટે દબાણ કરતા હતા. અમેરિકામાં ખાદ્ય અને ઔષધિ પ્રશાસને પણ લોકોને સલાહ આપતાં કહ્યું હતું કે તેઓ વેક્સિનનો ડોઝ લેતાં પહેલાં પોતાના ડોકટરની સલાહ જરૂરી લે.

એલર્જીવાળી વ્યક્તિને ફાઈઝરની વેક્સિન નહીં
લોકો પાસેથી એ માહિતી લેવાનું કહેવામાં આવ્યું છે કે તેઓ એ વાત જરૂરથી જાણી લે કે તેમને વેક્સિનના કોઈ ઘટકથી એલર્જી તો નથી ને. FDAએ પોતાની ગાઈડલાઈન્સમાં કહ્યું હતું કે સ્વાસ્થ્ય નિયંત્રણ કોઈપણ એવા મનુષ્યને ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન ન આપે, જેનો એલર્જી અંગેનો કોઈ રેકોર્ડ રહ્યો હોય.

( Source – Divyabhaskar )