પાટીદાર સમાજની 1 લાખ વ્યક્તિને 1 હજાર કરોડની ઉમાછત્ર યોજના, 55 વર્ષથી નીચેના ઘરના મોભીનું અવસાન થાય ત્યારે 10 લાખ અપાશે

પાટીદાર સમાજની 1 લાખ વ્યક્તિને 1 હજાર કરોડની ઉમાછત્ર યોજના, 55 વર્ષથી નીચેના ઘરના મોભીનું અવસાન થાય ત્યારે 10 લાખ અપાશે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્યભરના પાટીદાર સમાજના 1 લાખ પરિવારોને 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાનો લાભ મળશે. વિશ્વ ઉમિયાધામનો પ્રથમ પાટોત્સવ સમારોહ 28 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થયો. સાથોસાથ 100 જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને ઝીરો રૂપિયે લગ્ન કરાવવાની જાહેરાત પણ કરાઇ છે. ફાઉન્ડેશના પ્રમુખ આર.પી પટેલે 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત કરી હતી. પાટીદાર પરિવારમાં કોઈનું અવસાન થયું હશે તો ઘરના વડીલને આ રકમ અર્પણ કરાશે.

3 હજારના દાનથી ઉમાછત્ર યોજનાનો લાભ મળશે
પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર માત્ર 3 હજારથી 4 હજારનું દાન નોંધાવી ઉમાછત્ર યોજનાનો લાભ લઈ શકશે. જેમાં દર વર્ષે 1200થી 2000નું દાન પણ આપવાનું રહેશે. જો કોઈ પણ પરિવાર એક જ વખતમાં 31 હજારનું દાન આપે છે, તો પરિવારના મોભીના 55 વર્ષ સુધીમાં મૃત્યુ થાય તો પરિવારને 10 લાખ રૂપિયાની મદદ કરાશે .જો કોઈ પરિવાર 8.5 હજારનું દાન એક વર્ષમાં ચાર વખત આપે છે તો પણ ઉમાછત્ર યોજનાનો લાભ મળશે.

100 દીકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાવાશે
55 વર્ષ સુધીના પરિવારના મોભીનું અવસાન થાય તો સંસ્થા 10 લાખ રૂપિયાની મદદ કરશે. આ વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે (ઝીરો રૂપિયે) રંગેચંગે લગ્ન કરાવાશે.

જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ ખાતે યોજાયેલા પાટોત્સવ સમારોહની મહત્વપૂર્ણ જાહેરાતો

1. પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાથી સુરક્ષિત કરાશે

  • વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉમાછત્ર યોજનાની જાહેરાત
  • વિશ્વનું સૌથી ઉંચું ઉમિયા માતાજી મંદિર નિર્માણ થાય એ પહેલાં 1 લાખ પરિવારોને આ યોજનાનો લાભ અપાશે
  • પરિવારોનો કોઈ પણ સભ્ય જે દાન આપી આ યોજનનો લાભાર્થી બને તેના મૃત્યુ બાદ પરિવારને 10 લાખ રૂપિયા સંસ્થા આપશે
  • પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર માત્ર 3 હજારથી 4 હજારનું દાન નોંધાવી ઉમાછત્ર યોજનાનો લાભ લઈ શકશે. જેમાં દર વર્ષે 1200થી 2000નું દાન પણ આપવાનું રહેશે
  • જો કોઈ પણ પરિવાર એક જ વખતમાં 31 હજારનું દાન આપે છે તો પરિવારના મોભીના 55 વર્ષ સુધીમાં મૃત્યું થાય તો પરિવારને 10 લાખ રૂપિયાની સંસ્થા મદદ કરશે
  • જો કોઈ પરિવાર 8.5 હજારનું દાન એક વર્ષમાં ચાર વખત આપે છે તો પણ ઉમાછત્ર યોજનાનો લાભ મળશે
  • 55 વર્ષ સુધીની ઉમરમાં જ્યારે પરિવારના મોભી પર ઘર ચાલતું હોય તેવા સમયમાં મોભીનું દુઃખદ અવસાન થાય તો સંસ્થા 10 લાખ રૂપિયાની મદદ કરશે

2. આ વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ પરિવારની દિકરીઓને વિનામુલ્યે ( ઝીરો રૂપિયે) રંગેચંગે લગ્ન કરાવશે

3. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન 2021ના વર્ષને દેશ અને વિદેશમાં સંગઠન પર્વ તરીકે ઉજવશે.

વિશ્વ ઉમિયાધામ પાટોત્સવ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી
બૃહદ અમદાવાદના આંગણે જાસપુર ખાતે નિર્માણ પામનાર સામાજિક સશક્તિકરણ કેન્દ્રસમા વિશ્વઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાના 451 ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થઈ. આ પ્રસંગે વિશ્વઉમિયાધામ સંકુલ ખાતે મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી વિશ્વઉમિયાધામ-અમદાવાદના આગંણે તારીખ 28 ફેબ્રુઆરી 2021ને રવિવારના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ. જેમાં મા ઉમિયાના હજારો અમૃત્સ્ય સંતાનોએ ભાગ લીધો હતો. વિશેષ રૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ જગત જનની મા ઉમિયાની મહાઆરતીમાં હાજર રહ્યા હતા.

28 ફેબ્રુઆરી 2021 ( રવિવાર)ના દિવસભરના કાર્યક્રમોની ઝાંખી

1. સવારે 8.15 કલાકે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 10થી વધુ પગળપાળા સંઘ સરદારધામ પધાર્યા જ્યાંથી હજારો મા ઉમિયાના ભક્તો જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રામાં જોડાયા. જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રા વાજતે ગાજતે અને ભક્તોના નાચ-ગાન સાથે સરદારધામથી વિશ્વઉમિયાધામ સંકુલ પહોંચી. વિશેષરૂપે પાલખીયાત્રામાં મા ઉમિયાનો દિવ્યરથ પણ જોડાયો હતો.

2. વિશ્વઉમિયાધામ સંકુલ ખાતે માતાજીની પાલખીની આરતી ઉતારી સ્વાગત કરાયું અને ત્યાર બાદ સ્મૃતિ મંદિર પરિષરમાં મહાપુજા સંપન્ન થઈ.

3. સવારે 10.30 કલાકે મા ઉમિયાના સ્મૃતિ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા પાટોત્સવ નિમિતે માતાજીના મંદિરને ધજારોહણ કરાયું. જગત જનની મા ઉમિયા માતાજીને 21 ફૂટ લાંબી ધજા ચઢાવાઈ.

4. પાલખીયાત્રા અને ધજારોહણ બાદ સ્મૃતિ મંદિર પરિષરમાં પાટોત્સવ સામરોહ યોજાયો હતો. જેમાં મહામંડેશ્વર મહંતશ્રી દુર્ગાદાસજી બાપુ (લાલાજી મહારજની જગ્યા, સાયલા) એવમ્ પૂજ્ય કથાકારશ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (જોષીપુરાવાળા, વિરગામ) આશીર્વચન આપ્યા હતા. વિશેષ રૂપે પાટોત્વસ સામરોહમાં સંસ્થાના પ્રમુખશ્રી આર. પી. પટેલે સમસ્ત પાટીદાર સમાજની સુરક્ષા માટે 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત કરી હતી. જેમાં આવનાર સમયમાં 1 લાખ પાટીદાર પરિવારનો સુરક્ષિત કરાશે.

5. આ સાથે સવારે 8 વાગ્યાથી નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં 10થી વધુ પરિવારો જોડાઈને માતાજીની મહાપુજા અને નવચંડી યજ્ઞ કરાયો.

6. જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિરના પાટોત્સવ નિમિતે સાંજે 6.30 કલાકે 1008 દિવડાની મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં હજારો મા ઉમિયાના ભક્તોએ માતાજીની આરતી કરી સમગ્ર પરિષરને ભાવ વિભોર કરી દીધું હતું.

7. જ્યારે મોડી સાંજે 8 વાગ્યાથી સાંસ્કૃતિ કાર્યક્રમ અને રાસગરબાનું આયોજન કરાયું હતું. જેમાં મા ઉમિયાના ભક્તોએ રાસ ગરબા કરી સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.

( Source – Divyabhaskar )