નિર્ભયા કેસ / કોર્ટે કહ્યું- જ્યારે કાયદો દોષિતોને જીવતા રહેવાની મંજૂરી આપે તો ફાંસી આપવી પાપ; જેલ પ્રશાસનની અરજી ફગાવાઈ

નિર્ભયા કેસ / કોર્ટે કહ્યું- જ્યારે કાયદો દોષિતોને જીવતા રહેવાની મંજૂરી આપે તો ફાંસી આપવી પાપ; જેલ પ્રશાસનની અરજી ફગાવાઈ

  • કેન્દ્ર અને જેલ પ્રશાસને આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, અરજી ફગાવવામાં આવી તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
  • હાઈકોર્ટે દોષિતાને કાયદાકીય વિકલ્પ માટે 12 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે, માત્ર પવન પાસે 2 વિકલ્પ બાકી છે.
  • પટિયાલા હાઉસ કોર્ટે 31 જાન્યુઆરીએ દોષિતોના 1 ફેબ્રુઆરીના ડેથ વોરન્ટ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો.

નવી દિલ્હી: પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોનું ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરવાની તિહાર જેલની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, જ્યારે કાયદો દોષિતોને જીવતા રહેવાની મંજૂરી આપે છે ત્યારે તેમને ફાંસી આપવી પાપ છે. કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં દોષિતોને કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. પટિયાલા કોર્ટે તિહાર જેલની અરજી ફગાવતા એવું પણ કહ્યું છે કે, માત્ર અટકળો અને અનુમાનના આધારે ડેથ વોરન્ટ જાહેર ન કરી શકાય.

નિર્ભયા કેસના ચારેય દોષિતોના નવા (ત્રીજા) ડેથ વોરન્ટ માટે તિહાર જેલ પ્રશાસને પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં સીઆરપીસીની કલમ 413 અને 414 અંતર્ગત ફાંસીની તારીખ નક્કી કરવાની માંગણી કરવામાં આવી હતી. એડિશનલ જજ ધર્મેન્દ્ર રાણાએ આ વિશે ચારેય દોષિતોને શુક્રવાર સુધી જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. આ અરજી વિશે કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. આ પહેલાં કોર્ટે 31 જાન્યુઆરીએ 1 ફેબ્રુઆરીના ડેથ વોરન્ટ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. પહેલાં વોરન્ટમાં દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ફાંસીની તારીખ નક્કી ન થવી અન્યાય- આશા દેવી
પીડિતની માતા આશા દેવીએ કહ્યું- આજે કોર્ટ પાસે તાકાત અને અમારી પાસે સમય છે. કઈ પણ પેન્ડિંગ નથી. તેમ છતાં ડેથ વોરન્ટ જાહેર કરવામાં ન આવ્યું. આ અમારી સાથે અન્યાય છે. જ્યાં સુધી કોર્ટ દોષિતોને સમય આપ્યા કરશે અને સરકાર તેમને સપોર્ટ કરતી રહેશે, હું રાહ જોઈશ.

હાઈકોર્ટે પણ ફાંસીની અરજી ફગાવી દીધી

પટિયાલા હાઉસ કોર્ટે ફાંસી પર સ્ટે લગાવતા કેન્દ્ર સરકાર અને તિહાર જેલ પ્રશાસને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. બુધવારે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પછી આ અરજી ફગાવી દીધી હતી અને સાથે એવું પણ કહ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે દોષિતાના કાવતરાંઓના કારણે ફાંસીની પ્રક્રિયાને હતાશ કરી છે. મે 2017માં જ્યારે સુપ્રીમ કોર્ટે બે દોષિતોની અરજી ફગાવી દીધી ત્યારે કોઈએ ડેથ વોરન્ટ જાહેર કરવાની પહેલ ન કરી. ચારેય દુષ્કર્મીઓને અલગ અલગ ફાંસી ન આપી શકાય. હવે દોષિતો દરેક કાયદાકીય વિકલ્પોનો એક સપ્તાહમાં (11 ફેબ્રુઆરી) સુધીમાં ઉપયોગ કરી લે અને અધિકારી તે વિશે તુરંત એક્શન લે. ત્યારપછી કેન્દ્ર સરકારે આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે પણ હવે 11 ફેબ્રુઆરીએ સુનાવણી કરવામાં આવશે.

ચારેય દોષિતોની શું સ્થિતિ?
નિર્ભયાના ત્રણ દોષિત અક્ષય ઠાકુર, વિનય શર્મા અને મુકેશ શર્માના બંને વિકલ્પ (ક્યુરેટિવ પિટીશન અને દયા અરજી) ખતમ થઈ ગયા છે. જ્યારે માત્ર પવન ગુપ્તા પાસે ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજીનો વિકલ્પ બાકી છે. જે તેણે 12 ફેબ્રુઆરી સુધી ઉપયોગ કરવાના છે.