દર વર્ષે પૃથ્વી પરથી એક બ્રિટનના કદનું જંગલ ઓછું થઈ જાય છે !

દર વર્ષે પૃથ્વી પરથી એક બ્રિટનના કદનું જંગલ ઓછું થઈ જાય છે !

પૃથ્વીના પટ પરથી જંગલનો સફાયો થતો જ રહે છે. વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને ધરતી પરની હરિયાળી ઓછી થઈ રહી છે, ત્યારે એક ચોંકાવનારા હેવાલ એવા આવ્યા છે કે, પૃથ્વી પરથી દર વર્ષે યુકેના કદ જેટલું જંગલ ઓછું થઈ જાય છે ! ૨૦૧૪થી દર વર્ષે ધરતી પરથી ૨૬૦ લાખ એકર જમીન પરથી હરિયાળી નાશ પામી રહી છે, જેને કારણે વન્ય જીવ અને ક્લાઇમેટ ચેન્જ ઉપર તેની નાટયાત્મક અસર પડી રહી છે. ૨૦૨૦ સુધીમાં નાશ પામેલા કુદરતી વનના ૫૦ ટકા વન પાછું ઉગાડવાની સરકારોની વિનંતી છતાં વાસ્તવિક્તા વસમી બની રહી છે.

અત્યાર સુધી ૨૬૦ હેક્ટર જંગલનો ખાત્મો          

૨૦૧૪માં ન્યૂયોર્ક ડેક્લેરેશન ઓન ફોરેસ્ટ ઉપર ૨૦૦ જેટલા દેશો, કંપનીઓ અને પર્યાવરણવાદી સંસ્થાઓએ હસ્તાક્ષર કર્યા હતા. આ ઘોષણા પર કોલંબિયા, નોર્વે અને અમેરિકાની સરકારોએ પણ હસ્તાક્ષર કર્યા હતા, તો મેકડોનાલ્ડસ અને વોલમાર્ટે પણ હસ્તાક્ષર કર્યા હતા. ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન વર્ષે ૨૬૦ હેક્ટર જંગલ બળતા રહ્યા છે, જે ૨૦૦૧થી ૨૦૧૩ દરમિયાન વૈશ્વિક સ્તરે જેટલા વૃક્ષો ગુમાવ્યા હતા, તેની સરખામણીએ ૪૩ ટકા વધારો થયો ગણાય, એમ ૨૩મી સપ્ટેમ્બરે યોજાનારી યુએન ક્લાઇમેટ સમિટના રિપોર્ટમાં જણાવાયું હતું.

વૈશ્વિક સ્તરના વચનો, વન ઉગાડવામાં કોઈ કડી નથી !

કુઆલાલંપુર ખાતેની ટ્રોપિકલ રેઇનફોરેસ્ટ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડઝેમેન દ્ઝુલકિફલીએ જણાવ્યું હતું કે વૈશ્વિક કક્ષાના વચનો અને અર્થપૂર્ણ રીતે વનો ઉગાડવા એમાં કોઈ કડી નથી.વન ફરી ઊભા કરવા એ તમામ પ્રકારની પ્રજાતિની વનસ્પતિ મિશ્ર રીતે ઉગાડવી એ માટે સમય જોઈએ.

અમેઝોન જંગલની આગથી વિશ્વસ્તરે મુદ્દો અગ્રિમ થઈ ગયો                 

હાલના અઠવાડિયાઓમાં એમેઝોન અને કોંગોમાં જંગલમાં લાગેલી આગને કારણે એ મુદ્દો વૈશ્વિક એજન્ડા પર આવી ગયો છે અને યુએન ક્લાઇમેટ સાયન્સ રિપોર્ટમાં વૈશ્વિક તાપમાન વધારાને નાથવા માટે ચાવીરૂપ પગલાં તરીકે જંગલ સુરક્ષાને ટેકો આપ્યો છે. વનો ગરમીને છટકવા નહીં દેતાં કાર્બનનો સંગ્રહ કરે છે અને તેને પગલે વરસાદ અને સ્થાનિક હવામાનને ઠંડું રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે એ વનમાં આગ લાગે છે, ત્યારે એ કાર્બન ઉત્સર્જિત થાય છે, જે તાપમાન વધારે છે અને બદલામાં વન સામે જોખમ વધે છે.

વૈશ્વિક સ્તરે થયેલા જંગલના નાશમાં ૯૦ ટકા તો ટ્રોપિકલ ફોરેસ્ટમાં જ !

વધુમાં રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૦૧થી ૨૦૧૫ દરમિયાન વૈશ્વિક સ્તરે જંગલનો જેટલો નાશ થયો, તેમાં ૯૦ ટકા તો ફક્ત ટ્રોપિકલ ફોરેસ્ટમાં થયો હતો. વિષુવવૃત્તીય જંગલોમાં વૃક્ષો કાપીને ત્યાં ખેતી કરાય છે, જેથી ગૌમાંસ, સોયાબિન અને પામ ઓઇલનું ઉત્પાદન થઈ શકે.

વૃક્ષના નાશના દરમાં આફ્રિકા અગ્રેસર, તો કદની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકા અગ્રેસર

વિષુવવૃત્તીય વરસાદી જંગલોમાં સૌથી વધુ સફાયો દક્ષિણ અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકામાં થયો છે, જ્યાં ૨૦૦૧થી ૨૦૧૩ની સરખામણીએ ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન જંગલનો સફાયો ઝડપથી થયો છે. આફ્રિકામાં જંગલના નાશનો દર ૨૦ લાખથી વધીને ૪૦ લાખ થયો છે, એ જોતાં સૌથી વધુ દરે એ નાશ પામ્યા છે, જ્યારે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ નુકસાન કદની દૃષ્ટિએ થયું છે.

૧,૫૦૦ લાખ હેક્ટર જમીનમાં વન ઉગાડવાના લક્ષ્યમાં ફક્ત એક પંચમાંસ જ કામ થયું !

ન્યૂયોર્ક ડેક્લેરેશનના અન્ય લક્ષ્ય અંગે રિપોર્ટમાં જણાયં છે કે જ્યાંથી વૃક્ષો કપાયા છે, એવી ૧,૫૦૦ લાખ હેક્ટર જમીન પર ૨૦૨૦ની સાલ સુધીમાં વૃક્ષો ઉગાડવાનું લક્ષ્ય રખાયું હતું, જે લક્ષ્ય અત્યાર સુધી એક પંચમાંસ જેટલું જ હાંસલ કરાયું છે.

૩૫૦ કંપનીઓએ વનજાળવણી અને વન ઉગાડવામાં નિષ્ક્રિય

રિપોર્ટમાં જણાયું છે કે જેમના કામો વનને અસર કરે છે એવી સૌથી વધુ પ્રભાવશાળી ૩૫૦ કંપનીઓમાંથી એક પણ કંપનીએ તેમના વચન પૂરું કરવાની તસ્દી લીધી નથી. તેઓએ ૨૦૨૦ સુધીમાં વનકટાઈ મુક્ત કરવા માટે સપ્લાઈ ચેઇન બનાવવાનું વચન આપ્યું હતું.

એક વર્ષમાં બ્રાઝિલના વરસાદી વનના સફાયામાં ૮૮%નો વધારો

થિંક ટેન્ક રિપોર્ટ ૨૦૧૮નાં આંકડાના આધારે તૈયાર થયો છે, તેથી તેમાં હાલમાં એમેઝોન સહિતના જંગલોમાં લાગેલી આગને કારણે થયેલા જંગલના નુકસાનનો સમાવેશ કરાયો નથી. પરંતુ સંશોધકોએ એવું તારણ કાઢયું હતું કે, જૂન ૨૦૧૮ની સરખામણીએ આ વર્ષે જૂનમાં બ્રાઝિલના વરસાદી વનોમાં જંગલના સફાયામાં ૮૮ ટકાનો વધારો થયો છે.

વર્ષ ૨૦૧૪ ન્યૂયોર્ક ડેક્લેરેશન ઓન ફોરેસ્ટના લક્ષ્ય કયા?

૧.કુદરતી રીતે વનનો સફાયો અટકાવવો.

૨.કૃષિ ઉત્પાદનો માટે વનનો નાશ થતો અટકાવવો.

૩.અન્ય આર્થિક સેક્ટરોમાં વનનો નાશ થતો ઘટાડવો.

૪.પાયાની જરૂરિયાત માટે વિકલ્પને પ્રોત્સાહન આપવું.

૫.વનને જાળવવા.

૬.૨૦૧૫માં સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યો દ્વારા સ્વીકારેલા ટકાઉ વિકાસ લક્ષ્યમાં વનને જોડવા.

૭.ગ્લોબલ ક્લાઇમેટ એગ્રીમેન્ટ સંદર્ભે ઉત્સર્જન ઘટાડવું.

૮.વન અંગેના પગલાં માટે આર્થિક પીઠબળ આપવું.

૯.દેશો અને તેમની હકુમતના પરિણામને બિરદાવવી.

૧૦0શાસનને મજબૂત કરવું, સમુદાયનું સશક્તિકરણ.