છુપાયેલા જમાતીનો પતો આપનારને 10000નુ ઈનામ, આ શહેરની પોલીસે કરી જાહેરાત
કાનપુર, તા.20 એપ્રિલ 2020, સોમવાર
યુપીમાં કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યાની વચ્ચે કાનપુર શહેરમાં પોલીસને શંકા છે કે, હજી પણ તબલિગી જમાતના લોકો સંતાઈ રહેલા છે અને સામે આવી રહ્યા નથી.
કાનપુર પોલીસે હવે તેમને શોધવા માટે નવો નુસ્ખો અમાલમાં મુક્યો છે. કાનપુર પોલીસે એલાન કર્યુ છે કે, જે પણ છુપાયેલા જમાતની બાતમી આપશે તેને 10000 રુપિયા ઈનામ આપવામાં આવશે.
કાનપુરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં એક મોટો હિસ્સો એવો છે જે જમાતીઓના સંપર્કમાં આવવાથી પોઝિટિવ જાહેર થયા છે. પોલીસને લાગે છે કે દિલ્હીથી આવેલા જમાતીઓ હજીપણ છુપાયેલા છે. પોલીસ તેમની શોધ પણ ચલાવી રહી છે.
આ સ્થિતિમાં કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે હવે લોકોને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. સાથે સાથે આશ્વાસન પણ આપ્યુ છે કે, જે પણ માહિતી આપશે તેનુ નામ ગુપ્ત રાખવામાં આવશે. આ ઘોષણા કાનપુર ઉપરાંત કાનપુરના બીજા 6 જિલ્લાઓને લાગુ પડશે.
પોલીસે માહિતી આપવા માટે કંટ્રોલ રુમ સહિતના નંબરો પણ બહાર પાડ્યા છે.