ઊંઝા / લક્ષચંડીનો આજે છેલ્લો દિવસ, લાખો પાટીદારો ઊમટશે

ઊંઝા / લક્ષચંડીનો આજે છેલ્લો દિવસ, લાખો પાટીદારો ઊમટશે

  • શનિવારે 10 લાખથી વધુ લોકોએ મા ઉમિયાનાં દર્શન કર્યાં
  • ઊંઝાથી મહેસાણા વચ્ચે વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈન
  • દર્શનાર્થીઓને લઈ જવા સોલા, વસ્ત્રાલ અને નરોડાથી ખાસ બસ સેવા શરૂ થઈ
  • અત્યાર સુધી 45 લાખે દર્શન કર્યા
  • સાંજે 4 વાગ્યે 108 હોમાત્મક યજ્ઞ કુંડના યજમાનો પૂર્ણાહુતિ હોમ કરશે

અમદાવાદઃ ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો રવિવારે છેલ્લો દિવસ છે. બપોરે 2.30થી 4 વાગ્યે કુલ 108 હોમાત્મક યજ્ઞ કુંડના યજમાનો પૂર્ણાહૂતિનો હોમ કરશે. મહાયજ્ઞના ચોથા દિવસે શનિવારે 10 લાખથી વધુ લોકોએ ઉમિયા મંદિરમાં દર્શન કર્યાં હતાં. મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાથી ઊંઝાથી મહેસાણા વચ્ચે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી હતી. 800 વીઘાં વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં 18મી ડિસેમ્બરથી શરૂ થયેલા લક્ષચંડી મહાયજ્ઞમાં અત્યાર સુધીમાં 45 લાખથી વધુ લોકો આવ્યા છે. પાટીદારોને લઈ જવા માટે સોલા ઉમિયા કેમ્પસ, વસ્ત્રાલ અને નરોડાથી સ્પેશિયલ બસો મૂકાઈ છે.

700 શ્લોકથી એક લાખ ચંડીપાઠ કર્યા
મહોત્સવ સંકુલમાં સૌથી વધારે ધસારો શનિવારે થયો હતો, જેને લીધે સવારથી ઉમિયાધામ આસપાસના માર્ગો પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ તેમ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું. ન ભૂતો ન ભવિષ્યતિ ઋષિકાળ જેવા વૈદિક લક્ષચંડી મહાયજ્ઞમાં બ્રાહ્મણ યજમાન સહિત 109 યજમાનો મહાયજ્ઞમાં બેઠા હતા. લક્ષચંડી માટે 25 વીઘા વિસ્તારમાં 51 શક્તિપીઠના પ્રતીક મંદિર સાથે 3500 લોકો એકસાથે બેસી શકે તેવી 81 ફૂટ ઊંચી યજ્ઞશાળા બનાવાઈ હતી. મહાયજ્ઞ પૂર્વે મા ઉમિયાની દિવ્ય જ્યોતની સાક્ષીએ ઉમિયા બાગમાં 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિતોએ દુર્ગા સપ્તસતિના 700 શ્લોકથી એક લાખ ચંડીપાઠ કર્યા હતા.

6 લાખ ભક્તોએ ભોજનપ્રસાદનો લાભ લીધો
દેવસ્થાન સમિતિના જણાવ્યા મુજબ, શનિવારે આશરે 6 લાખ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે મંદિરમાં સાડા ચારથી પાંચ લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ઉમિયાનગરમાં 15થી 20 લાખ લોકો ભોજનનો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆતથી અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદ લીધો છે.