આજથી જીવન-દર્શન અનલોક / ગુજરાતમાં 75 દિવસ પછી મોલ, હોટેલ્સ, રેસ્ટોરાં, મંદિર ખૂલશે
- સોમનાથ-દ્વારકા, અંબાજી સમેત બધા મદિરો ભક્તો માટે તૈયાર છે
- માસ્ક જરૂરી, ઘંટી નહીં બજાવી શકે, મૂર્તિને નહીં અડી શકે, પ્રસાદ પર રોક
- હોટેલમાં કેશ પેમેન્ટ નહીં, મૉલમાં AC 24 ડિગ્રીથી નીચે નહીં ચલાવી શકાય
અમદાવાદ/સુરત/રાજકોટ/વડોદરા. ગુજરાતમાં 75 દિવસ પછી સોમવારથી મૉલ, હોટેલ, રેસ્ટોરાં, મંદિર અને શોપિંગ સેન્ટર્સ ખુલી રહ્યાં છે. સોમનાથ, દ્વારકાધીશ, અંબાજી, ચોટીલા ચામુંડા માતાજી સહિતના અગ્રણી ધર્મસ્થાનોમાં સોમવારથી દર્શન શરૂ થશે. સાથે જ રાજ્યના મોટા શોપિંગ મોલ્સ પણ ગ્રાહકો માટે ખૂલશે. રેસ્ટોરાં અને મ્યુઝિયમ્સમાં પણ સોમવારથી ચહલપહલ જોવા મળશે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિવિધ પ્રકારની ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી છે. તેનું પાલન દરેક માટે અનિવાર્ય રહેશે.
હોટેલ, રેસ્ટોરાંમાં ડિસ્પોઝેબલ મેનુ કાર્ડ આપવાનું રહેશે
મંદિરોમાં 10 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધુ વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. સાથે જ મંદિરોમાં બહારથી પ્રસાદ લઈ જવાશે નહીં. દરેક વ્યક્તિએ સ્વૈચ્છિક પણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજિયાત પહેરવો પડશે. હોટેલ, રેસ્ટોરાંમાં ડિસ્પોઝેબલ મેનુ કાર્ડ આપવાનું રહેશે. એટલે કે એક જ મેનુ એકથી વધુ ગ્રાહકોને આપી શકાશે નહીં. રેસ્ટોરાંમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપી શકાશે. મંદિર, મૉલ કે રેસ્ટોરામાં ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે, જ્યારે મોલ્સમાં માત્ર દુકાનો ખુલ્લી રાખી શકાશે. સિનેમાઘર કે બાળકો માટેનો પ્લે એરિયા શરૂ કરી શકાશે નહીં.
દર્શનાર્થીઓ માટે રાજ્યના અગ્રણી મંદિરોની તૈયારી અને નિયમો
સોમનાથ મંદિર: આજથી સોમનાથ મહાદેવ મંદિર ખૂલશે. મંદિરમાં દંડવત પ્રણામ નહીં. આ ઉપરાંત 10 વર્ષથી નીચેના 65 વર્ષથી મોટી ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે. શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ પણ ખુલશે.
દ્વારકા જગતમંદિર: ફક્ત મુખ્ય મંદિરો જ ખૂલશે. આરતીમાં ફકત પૂજારી રહેશે. ભક્તોએ મંદિર બહાર નીકળવાનું રહેશે. હાલારનું હરસિદ્ધિ માતાજી, જોગવડનું આશાપુરા અને ભાણવડનું કિલેશ્વર મહાદેવ મંદિર ખૂલશે.
માતાનો મઢ, કચ્છ: માતાનામઢ ખાતે આશાપુરના મંદિરના દ્વાર સોમવારે ખુલશે. અહીં શ્રીફળ- પ્રસાદ લઇ જવાની મનાઇ છે. આરતીમાં પણ પ્રવેશ નહીં. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરના દ્વાર પણ ખૂલી રહ્યાં છે.
ચોટીલા ચામુંડા માતા: ચોટીલાનું ચામુંડા મંદિર પણ આજથી ખુલશે.મંદિરના ભરતગીરી બાપુએ જણાવ્યું કે સરકારના આદેશ અનુસાર ભોજનાલય-અતિથિ ભવન બંધ રહેશે. શ્રીફળ, પ્રસાદ, ફૂલહાર વગેરે ચઢાવી નહીં શકાય.
જલારામ મંદિર, વીરપુર: વીરપુરના જલારામ મંદિરના ભક્તોએ જલારામ બાપાના દર્શન માટે હજુ રાહ જોવી પડશે. આ મંદિર 15 જૂનથી ખુલશે. જલારામબાપાના દર્શન સવારે સાતથી એક અને બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી જ ખુલશે.
રણછોડરાય મંદિર, ડાકોર: ડાકોર મંદિર અને સરકારી વિભાગો વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ દેખાય છે. જેને કારણે રણછોડરાય પ્રભુના દર્શન માટે વધુ રાહ જોવી પડશે. ડાકોર પાલિકા પ્રમુખે ત્રણ મહિના મંદિર બંધ રાખવા રજૂઆત કરી છે.
ધાર્મિક સ્થળો માટે નિયમો
- 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને, કોમોર્બિડિટી ધરાવતા લોકોને કે સગર્ભાને બને ત્યાં સુધી મુલાકાત ન કરવી.
- તમામએ 6 ફૂટનું અંતર જાળવવું. ચહેરો ઢાંકવો, માસ્ક પહેરવું, પ્રવેશદ્વાર પર હાથ ધોવા, સેનેટાઇઝર હોવું ફરજિયાત, આરોગ્ય ચકાસણી અને શરીરના તાપમાન માપવાની વ્યવસ્થા કરવી
- એસિમ્પ્ટોમેટિક વ્યક્તિને જ પ્રવેશ મળશે.
- સામૂહિક પગરખા મુકવાની વ્યવસ્થા બંધ રાખી દર્શનાર્થી પોતાની રીતે વાહનમાં જ પગરખાં મૂકે.
- પ્રસાદની વહેંચણી કરવી નહીં, પવિત્ર જળના છંટકાવને પણ મંજૂરી નહીં
શૉપિંગ મૉલ્સ માટે જાહેર કરેલા નિયમો
- તમામ એસીનું સેટિંગ 24થી 30 ડિગ્રીની રેન્જમાં અને હ્યુમિડિટી એટલે કે ભેજ 40થી 70% ની રેન્જમાં હોવો જોઇએ.
- ગેમિંગ આર્કેડસ, ચિલ્ડ્રન પ્લેએરિયા, મૉલની અંદર સિનેમા ગૃહ બંધ રહેશે.
- ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટમાં ક્ષમતાના 50% કરતા વધારે નહીં.
- મૉલ્સને નિયમો પ્રમાણે સેનિટાઇઝ કરવો પડશે.
હોટેલ- રેસ્ટોરાં માટે નિયમો
- ક્ષમતાના 50% કરતા વધારે ગ્રાહકો નહીં.
- હોટલના મેનૂ સિંગલ યુઝ હોવા જોઇશે, બીજીવાર વાપરી નહીં શકાય.
- કાપડ નેપકિન્સને બદલે સારી ક્વૉલિટીના પેપર નેપકિન્સ વાપરવાના રહેશે.
- વ્યકિત વચ્ચે છ ફૂટનું અંતર જરૂરી છે.
- વૃદ્ધો, ગર્ભવતીઓ, બાળકોને નહીં જવા સૂચન.
- રેસ્ટોરાંના સ્ટાફે હાથ-મોંઢુ ઢાંકીને કામ કરવું પડશે.
- સ્ટાફ અને અતિથિઓને પ્રવેશની મંજૂરી ફકત ત્યારે જ આપવામાં આવે યારે ચહેરા પર માસ્ક પહેર્યેા હોય.
- રૂમમાં સામાન મોકલતા પહેલા સામાનનું સેનેટાઇઝેશન થવું જોઇએ.
રિયલ એસ્ટેટમાં ફ્લેટ્સની પૂછપરછ 30 ટકા સુધી વધી
- 10% ટ્રક વધુ રસ્તા પર આવશે. આ રીતે 8 જૂન પછી એક કરોડ ટ્રકોમાં સરેરાશ 50 લાખ રોડ પર આવશે.
- ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના મહાસચિવ નવીન ગુપ્તા જણાવે છે કે ઉપસ્થિત સમયમાં સરેરાશ 40 ટકા એટલે કે 40 લાખ ટ્રક રસ્તા પર આવી ચૂકી છે.
- 15% સુધી વેપાર હોટલ, રેસ્ટોરાંમાં આજથી શરૂ થઇ શકે છે. રિયલ એસ્ટેટમાં ફ્લેટ્સની પુછપરછ 30 ટકા સુધી વધી ગઇ છે.
- એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઉડાનમાં બુકિંગ શરૂ કરી ચૂકી છે. એએઆઇના પૂર્વ ચેરમેન વીપી અગ્રવાલના મતે રોજ 80 હજાર યાત્રી સફર કરી શકે છે.
- 4 હજાર કરોડ રૂપિયાના રોજના વ્યાપાર થવાની સંભાવના છે. ગણેશ ઉત્સવ, નવરાત્રી પછી બજાર ઝડપી વેગ પકડશે.
- કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અધ્યક્ષ બીસી ભરતિયા જણાવે છે કે અનલૉક થવા પર બજારોમાં ધીમે-ધીમે ગ્રાહક આવવાના શરૂ થઇ જશે.