અ’વાદીઓ માર્ચ 2020 પછી BRTSમાં વધુ 300 બસો આવશે, CNG બસોનું શટર પડી જશે, પણ…

અ’વાદીઓ માર્ચ 2020 પછી BRTSમાં વધુ 300 બસો આવશે, CNG બસોનું શટર પડી જશે, પણ…

AMCએ ૨૦૦૯માં BRTS પ્રોજેક્ટ શરૂ કર્યો તે વખતે ડીઝલ બસો દોડાવવાની શરૂઆત થઈ હતી પછી પ્રદૂષણ વધતાં CNG બસો દોડાવવાની શરૂઆત થઈ હતી પણ હવે BRTSના કાફલામાંથી CNG બસો વિદાય લેશે અને ઈ-બસોનું ચલણ વધશે.

AMCએ BRTSના કાફલામાં ૬૫૦ ઈ- મીડી બસો દોડાવવાનું આયોજન કર્યું છે. આજે ગુરુવારે મળેલી જનમાર્ગ લિ.ની બોર્ડની બેઠકમાં ૩૦૦ ઈ- મીડી બસો ખરીદીનું ટેન્ડર મંજૂર કરાયું છે. જેની ડિલિવરી માર્ચ ૨૦૨૦ પછી તબક્કાવાર થશે. મ્યુનિ.એ કુલ ૬૫૦ ઈ-બસો દોડાવવાનું આયોજન કર્યું છે.

શહેરમાં AMTSની ૭૦૦ અને BRTSની ૨૫૫ બસો દોડે છે. દૈનિક ધોરણે AMTS-BRTSમાં ૭.૫૦ લાખ મુસાફરો મુસાફરી કરે છે. પહેલાં તબક્કામાં અશોક લેલેન્ડ કંપની પાસેથી ૫૦ ઈ-બસ ખરીદી કરાઈ હતી જે પૈકી ૧૮ ઈ-બસની ડિલિવરી થઈ છે જ્યારે તાતા કંપની પાસેથી ૩૦૦ ઈ-બસો ખરીદી કરવાનું ટેન્ડર મંજૂર કરાયું છે.

આ સબસિડી વિનાની બસો ખરીદવા અંગે સત્તાધીશો અને અમલદારો વચ્ચે સંઘર્ષ થયો હતો જોકે, ઘીના ઠામમાં ઘી ઠરી ગયું છે. હવે ૩૦૦ ઈ-બસોનું ટેન્ડર મંજૂર કરી દેવાયું છે જ્યારે બીજી સબસિડીવાળી ૩૦૦ ઈ-બસોનું ટેન્ડર પાઇપલાઇનમાં છે. આમ, બીઆરટીએસના નેજા હેઠળ કુલ ૬૫૦ ઈ-બસો દોડાવવાનું આયોજન છે. 

બીઆરટીએસ પ્રોજેક્ટ અમલી બન્યો તે વેળાએ તેની સ્ટ્રેન્થ ૩૦૦ બસોની હતી પણ મ્યુનિ.એ અત્યાર સુધી ૨૨૫ બસો ઓપરેશનમાં મૂકી છે. હવે ૮૯ કિ.મી.ના કોરિડોર અને ૯૬ કિ.મી.ના બીઆરટીએસ રૂટ ઉપર ૬૫૦ ઈ-બસો દોડાવવી અઘરો ટાસ્ક છે. તેનું  આયોજન દેખાતું નથી.