અમેરિકામાં વસવાટ કરી રહેલા 42 લાખ ભારતીય-અમેરિકાનોમાં લગભગ 6.5 ટકા લોકો તો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે.

અમેરિકામાં વસવાટ કરી રહેલા 42 લાખ ભારતીય-અમેરિકાનોમાં લગભગ 6.5 ટકા લોકો તો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે.

ભારતમાં મોટી સંખ્યામાં લોકોનું સપનું અમેરિકામાં જઈને સ્થાઈ થવાનું હોય છે. પોતાના સપના પુરા કરવા હરખભેર અનેક ભારતીયો અમેરિકા જાય છે પણ ખરા. પરંતુ તાજેતરમાં જ અમેરિકામાં રહેતા ભારતીયોને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.

અહેવાલમાં સામે આવેલી આશ્ચર્યજનક વિગતો પ્રમાણે અમેરિકામાં વસવાટ કરી રહેલા 42 લાખ ભારતીય-અમેરિકાનોમાં લગભગ 6.5 ટકા લોકો તો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે. કોરોના મહામારીના કારણે ભારતીય સમુદાયમાં હજી પણ ગરીબી વધવાની આશંકા છે.

બધુ પીળું એ સોનુ ધારીને અમેરિકામાં વસવાટ કરવાની ખેવના ધરાવતા ભારતીયોને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરમાં અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા જોહન હોપકિન્સની પોલ નિત્ઝ સ્કૂલ ઓફ એડવાન્સ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એક સંશોધનમાં આ ખુલાસો થયો છે. આ સંશોધનના પરિણામો ગુરુવારે જાહેર કરાયા હતા.

સંશોધકોનુ માનવું છે કે, અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોમાં પણ બંગાળી અને પંજાબી સમુદાયમાં ગરીબી વધારે જોવા મળે છે. આ પૈકીના એક તૃતિંયાશ લોકો લેબર ફોર્સનો હિસ્સો નથી જ્યારે 20 ટકા તો એવા ભારતીયો છે કે જેમની પાસે અમેરિકન નાગરિકતા પણ નથી.

ઈન્ડિયાસ્પોરા નામની સંસ્થાના સ્થાપક એમ આર રંગાસ્વામીએ આ મામલે કહ્યું હતું કે, ગરીબીમાં રહેતા અમેરિકન ભારતીયોની સ્થિતિ તરફ ધ્યાન દોરવુ જરુરી છે. આ યોગ્ય સમય છે. કારણકે કોરોનાના કારણે ઈકોનોમી પર પણ અવળી અસર પડશે. સામાન્ય રીતે ભારતીયોને સાધન સંપન્ન માનવામાં આવે છે પણ ભારતીય મૂળના લોકોમાં પણ ગરીબી છે તે અંગે જાગૃતિ લાવવી જરૂરી છે.