અધિકમાસમાં કરેલાં દાનનું 10 ગણું ફળ મળે છે, વેદોથી મહાભારત સુધી અનેક ગ્રંથોમાં તેનું મહત્ત્વ છે

અધિકમાસમાં કરેલાં દાનનું 10 ગણું ફળ મળે છે, વેદોથી મહાભારત સુધી અનેક ગ્રંથોમાં તેનું મહત્ત્વ છે

વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે અધિકમાસમાં પૌવાનું દાન કરવું જોઇએ, સ્કંદ પુરાણમાં 16 વસ્તુઓનું મહાદાન જણાવવામાં આવ્યું છે.

વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે અધિકમાસમાં દાન આપવાની પરંપરા છે. આ મહિનામાં કરેલાં દાનનું 10 ગણું ફળ મળે છે. પુરુષોત્તમ માસના દેવતા ભગવાન વિષ્ણુ છે. એટલે આ મહિને તેમની કૃપા મેળવવા માટે પૂજામાં નેવેદ્ય સ્વરૂપમાં પૌવા બનાવીને ચઢાવવા જોઇએ. ત્યાર બાદ પ્રસાદ દાન આપવો જોઇએ. વેદો અને ઉપનિષદો સાથે જ અનેક પુરાણો અને મહાભારતમાં પણ દાનનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, કયા દાનનું કેવું ફળ મળે છે. ત્યાં જ, દાન કરવાનું મનોવૈજ્ઞાનિક મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એટલે અધિકમાસમાં પણ દાન આપવાની પરંપરા છે.

વેદો અને ઉપનિષદોમાં દાનઃ-
વેદોમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મની ઉન્નતિ માટે આપેલું દાન ઉત્તમ હોય છે. આ સિવાય પ્રસિદ્ધિ મેળવવા માટે કે સ્વાર્થ માટે કરેલું દાન મધ્યમ હોય છે. શુક્લ યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદ પ્રમાણે બ્રહ્માએ મનુષ્યો માટે ઉપદેશમાં દ અક્ષર કહ્યો છે. ત્યારે મનુષ્યોએ તેનો અર્થ દાન કરવું સમજવ્યો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, તમે સાચું સમજ્યા છો. આ સિવાય તૈત્તિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે, શ્રદ્ઘા, લજ્જા કે ભયની ભાવનાથી પણ કરેલાં દાનનું ફળ મળે છે.

પુરાણોમાં દાનઃ-
સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં મહાદાનનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. તેમાં ગાય, સોનું, ચાંદી, રત્ન, વિદ્યા, તલ, કન્યા, હાથી, ઘોડો, શય્યા, વસ્ત્ર, ભૂમિ, અન્ન, દૂધ, છત્રી અને જરૂરી વસ્તુઓ સાથે ઘરનું દાન કરવું જોઇએ. આ સિવાય અગ્નિ પુરાણ પ્રમાણે અધિકમાસમાં સોનું, ઘોડો, તલ, હાથી, રથ, ભૂમિ, ઘર, કન્યા અને કપિલા ગાયનું દાન કરવું જોઇએ. ગરુડ પુરાણ કહે છે કે, દાન ન આપવાથી પ્રાણી દરિદ્ર થઇ જાય છે અને દરિદ્ર બન્યાં બાદ પાપ કરે છે. શ્રીમદભાગવત પુરાણ પ્રમાણે જીવન માટે જરૂરી સંપત્તિ, વસ્તુઓ અને ધન રાખવું જોઇએ. અન્યનું દાન કરી દેવું જોઇએ. મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે, જે ધન પ્રાપ્ત થાય છે તેનો ભોગ કે સંગ્રહ કરવા કરતાં દાન આપવું સારું છે.

દાનનું મનોવિજ્ઞાનઃ-
દાન કરવાથી અનેક મનોવૈજ્ઞાનિક લાભ પણ મળે છે. હોવર્ડ બિઝનેસ સ્કૂલના મનોવિજ્ઞાનની પ્રોફેસર મિશેલ નોર્ટન અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સોંજા લ્યુબોમિરસ્કિએ એક જર્નલમાં લખ્યું છે કે, દાન કરવામાં જે સુખ મળે છે. તે પોતાના ઉપર ખર્ચ કરવાથી જે સુખ મળે છે તેના કરતાં વધારે હોય છે. આ સિવાય ટેક્સાસ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક આર્ટ માર્કમેનના જણાવ્યાં પ્રમાણે દાન કરવાથી મળતું સુખ શરીર ઉપર પોઝિટિવ અસર કરે છે. દાન કરવાથી મન અને વિચારોમાં વિસ્તાર થાય છે. દાનથી મોહની શક્તિ નબળી પડે છે. દરેક પ્રકારના લગાવ અને ભાવને છોડવાની શરૂઆત દાન અને ક્ષમાથી થાય છે. દાન કરવાથી વ્યક્તિનો અહંકાર અને મોહ દૂર થાય છે. દાન કરવાથી મનની અનેક ગ્રંથીઓ ખુલે છે અને અપાર સંતુષ્ટિ મળે છે. દાન કરવાથી અનેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.

દાનનું ફળઃ-
ધર્મ ગ્રંથો પ્રમાણે થોડા દાનનું ફળ આ જન્મમાં મળી જાય છે તો થોડાં દાનનું ફળ આવતાં જન્મમાં મળે છે. જેના પ્રભાવથી જીવનમાં અચાનક મોટા ફેરફાર આવે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જળ દાનથી તૃપ્તિ મળે છે. અનાજ દાનથી અક્ષય સુખ, તલના દાનથી સંતાન સુખ, ભૂમિ દાનથી મનગમતી વસ્તુઓ મળી શકે છે. સોનાનું દાન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. ઘરનું દાન કરવાથી ઉત્તમ ભવન અને ચાંદીનું દાન કરવાથી સારું સ્વરૂપ મળે છે. સાથે જ, એવું પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, પોતાની સ્થિતિને જોતાં દાન કરવું જોઇએ.