સાલું જબરું કહેવાય! મંડપમાંથી ભગવાનની આખે આખી મૂર્તિ જ ગાયબ થઇ ગઇ

સાલું જબરું કહેવાય! મંડપમાંથી ભગવાનની આખે આખી મૂર્તિ જ ગાયબ થઇ ગઇ

રાજ્યમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો તો વધી રહ્યા છે. તમે આજ સુધી સોના-ચાંદી ઝવેરાત આ સિવાય ઘણી બધી ચીજવસ્તુઓની ચોરીના બનાવો વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવી ધટના વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં આવે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં તો તસ્કરોએ હદ કરી નાંખી, મંદિરની સ્થાપના કરતી વખતે આખેઆખી મૂર્તિ ગાયબ થઇ હોવાની ઘટના સામે આવી છે. ભગવાન જગન્નાથની મૂર્તિ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોરાયેલી મૂર્તિ જલ્દી નહીં મળે તો સ્થાનિક લોકોએ ઉગ્ર દેખાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંતા નગરમાં ભગવાન જગન્નાથની મૂર્તિ મંડપમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. તે દરમિયાન રાત્રી વેળાએ કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા ભગવાન જગન્નાથની મૂર્તિની ચોરી કરી લેવામાં આવી હતી. આ ઘટનામાં ભાનુસિંહ નામના યુવકે મૂર્તિ ગાયબ કરી હોવાના આક્ષેપ થઇ રહ્યો છે. આ ઘટનામાં કથા મંડપમાંથી ભગવાનની ત્રણ મૂર્તિ ગાયબ થઇ જતા ભારે હોબાળો થયો છે.

વહેલી સવારે જ્યારે આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને મૂર્તિ પરત લાવી આપવાની માગ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ અને ઉપરી અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

સુરતની આ ઘટનામાં પોલીસને એવું જાણવા મળી રહ્યું છે કે, અંદરોઅંદર ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મંદિરની મૂર્તિ ગાયબ થતા ઓરિસ્સા વાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાના સમાચાર મળ્યા બાદ પરિસ્થિતિ વણસે નહીં તેના માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.