બેંક લોકરમાં કિંમતી સામાન રાખ્યો છે તો ચિંતા ન કરો, લોકરધારકો સામે હવે બેંકોની મનમાની નહીં ચાલે

બેંક લોકરમાં કિંમતી સામાન રાખ્યો છે તો ચિંતા ન કરો, લોકરધારકો સામે હવે બેંકોની મનમાની નહીં ચાલે

RBI લોકરને લગતી માર્ગદર્શિકા ન લાવે ત્યાં સુધી સુપ્રીમની ગાઈડલાઈન લાગૂ રહેશે

બેંકો જ્યારે બેંક લોકર્સનું સંચાલન કરી રહી હોય ત્યારે ગ્રાહકો પર તે એકતરફી અને ગેરવાજબી નિયમો લાદી શકે નહીં તેમ સુપ્રિમ કોર્ટે સંબંધિત કાયદા અને નિયમોનું પાલન કર્યાં વગર લોકર્સ ખોલવા સામે બેંકોને સાવચેત કરવા સાથે એક વિસ્તૃત માર્ગદર્શિકા રજૂ કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને લોકરને લગતી માર્ગદર્શિકા તૈયાર કરવા પણ આદેશ આપ્યો છે. આ સાથે મધ્યસ્થ બેંકે 6 મહિનામાં ગાઈડલાઈન રજૂ કરવાની રહેશે.

નાગરિકોને લગતા કાયદામાં જૂબાનીના આધારે લોકરના પરિપ્રેક્ષમાં લાદવામાં આવેલ જવાબદારીના સંદર્ભમાં કોર્ટે આ સ્પષ્ટતા કરી છે.અલબત આ સંદર્ભમાં ગ્રાહક સુરક્ષાને લગતો કાયદો પણ લાગૂ પડી શકે છે. નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ રેડ્રેસલ કમિશન (NCDRC)ના વર્ષ 2008ના ચુકાદા સામે આ ચુકાદો આવ્યો છે. ન્યાયમૂર્તિ મોહન એમ શાંતનાગૌડર અને ન્યાયમૂર્તિ વિનીત સરનની બનેલી ખંડપીઠે લોકર ફેસિલિટી/સેફ ડિપોઝીટ ફેસિલિટી મેનેજમેન્ટના સંદર્ભમાં બેન્કો દ્વારા ભરવામાં આવનારા ફરજીયાત પગલાં અંગેના સર્વગ્રાહી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવે. બેંકો પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને કોલરના સંચાલન માટે તેમના ગ્રાહકો પર તમામ જવાબદારી થોપી શકે નહીં.

ગ્રાહક ચોક્કસ ઉદ્દેશ સાથે લોકરની સુવિધા ભાડે લે છે, જેથી તેઓને એ વાતની ખાતરી મળી શકે કે તેમની અસ્કયામતોની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વર્ષ 2007માં બેંક લોકર્સની સુરક્ષાના સંદર્ભમાં પૂરતી કાળજી લેવા અંગે સ્પષ્ટ દિશા-સૂચન આપ્યા હતા તેમ જ લોકર્સની ફાળવણી તથા તે ખોલવા અંગે લોકરધારકને લગતી કેટલીક પારદર્શિતાને ફરજીયાત બનાવી હતી.

જોકે, ફરજને પૂર્ણ કરવા માટે ચોક્કસ પ્રક્રિયાને ફોર્મ્યુલેટ કરવા માટે વ્યક્તિગત રીતે બેંકોના દિશા સૂચનને બેન્કિંગ નિયમકર્તાએ ઉઠાવી લીધા છે.લોકર ફેસિલિટીની ફાળવણી કરતી વખતે અને સંચાલન કરતી વખતે બેંકો દ્વારા યોગ્ય પ્રક્રિયાની સુવિધા સુનિશ્ચિત કરવા કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરવી જરૂરી છે.

આરબીઆઈ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં ન આવે ત્યાં સુધી લોકર અથવા સેફ ડિપોઝીટ ફેસિલિટી ઉપલબ્ધ કરાવતી બેંકોએ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા

1. તેમાં લોકર રજિસ્ટર તથા લોકર કી રજીસ્ટરના મેઈન્ટેનન્સનો સમાવેશ થાય.

2. એલોટમેન્ટમાં કોઈ પ્રકારના ફેરફાર થાય તેવા કિસ્સામાં લોકર રજીસ્ટરને સતત અપડેટ કરવાનું રહેશે.

3. લોકરની ફાળવણીમાં કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવે તે અગાઉ મૂળ લોકરધારકે બેંકે જાણ કરવાની રહેશે, અને લોકરધારક ઈચ્છતો હોય તેવા સંજોગોમાં જ જમા કરવામાં આવેલી ચીજ-વસ્તુઓને પાછી મેળવવા માટે તેમને યોગ્ય તક આપવામાં આવે.

4.બેંકો બ્લોચેઈન ટેકનોલોજી જેવી યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવાની બાબતને ધ્યાનમાં લઈ શકે છે.

5.બેંકના કસ્ટોડિયને લોકર્સમાં એક્સેસને લગતી વધારાનો રેકોર્ડ જાળવવાનો રહેશે, લોકર્સને લગતો એક્સેસ ધરાવતા તમામ પક્ષકારોના લોકર ખોલવા તથા બંધ કરવાના સહિતની વિગતો તથા તારીખ અને સમયની તમામ વિગતોને ચુસ્તપણે મેન્ટેઈન કરવી પડશે.

6.બેંકના કર્મચારીઓ નિયમિતપણે લોકર્સ યોગ્ય રીતે બંધ કરવામાં આવેલું છે કે નહીં તેની તપાસ કરવાની પણ જવાબદારી ધરાવે છે. જો તે યોગ્ય રીતે બંધ કરવામાં ન આવેલ હોય તો તે તાત્કાલિક બંધ કરવામાં આવે, આ ઉપરાંત આ અંગે તાત્કાલિક લોકરધારકને જાણ કરવામાં આવશે.

7.સંબંધિત સ્ટાફે લોકરની ચાવીઓ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તેની પણ તપાસ કરવાની રહેશે.

8. જો લોકર્સ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ મારફતે સંચાલિત હોય તો બેન્કે હેકિંગ અથવા સુરક્ષાને લગતા કોઈ પણ ઉલ્લંઘનથી રક્ષણ મેળવવા સિસ્ટમને સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં ભરવાના રહેશે.

9. બાયોમેટ્રીક ડેટા સહિત ગ્રાહકનો પર્સનલ ડેટા તેમની મંજૂરી વગર ત્રીજા પક્ષકાર સાથે શેર કરી શકાય નહીં. આ સંદર્ભમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ,2000 લાગૂ થશે.

10. બેન્ક સંબંધિત કાયદા તથા RBIના નિયમનોને આધિન ખોલવા માટે લોકરને ખોલવા સત્તા ધરાવે છે. કાયદામાં દર્શાવવામાં આવેલી પ્રક્રિયા સિવાયની પદ્ધતિથી ખોલવામાં આવશે તો તે ગેરકાયદેસર ગણાશે અને તેને લીધે જે પણ રકમનું નુકસાન થશે તે માટે સેવા પૂરી પાડનાર તરીકે બેંકને વહન કરવાનું રહેશે.

11. લોકરધારકને આપવામાં આવેલી લેખિત નોટિસના સંદર્ભમાં લોકર ખોલવામાં આવે તે અગાઉ યોગ્ય સમય આપવામાં આવે. આ ઉપરાંત લોકર અધિકૃત અધિકારીઓ તથા નિષ્પક્ષ સાક્ષીની ઉપસ્થિતિમાં જ લોકરધારકની નોટિસને આધિન લોકર ખોલવામાં આવશે. બેંકે લોકરમાં રહેલી ચીજવસ્તુઓની સંપૂર્ણ વિગતોની નોંધ રાખવાની રહેશે, અને લોકર રજીસ્ટરમાં અલગથી એન્ટ્રી આપવી પડશે. ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તે માટે લોકરધારકની ઈન્વેન્ટરીની રસીદ પર સહી લેવી જરૂરી છે.

12. લોકરના એક્સેસથી કોઈ બિનઅધિકૃત પક્ષકાર ફાયદો લઈ રહી નથી તે બાબતની ખાતરી કરવા માટે બેન્કે યોગ્ય પ્રક્રિયાની ચકાસણી કરવાની જવાબદારી ધરાવે છે. જો લોકર ઘણા સમય સુધી ખોલવામાં આવ્યું ન હોય અને લોકરધારકની ભાળ મળતી ન હોય તો બેન્કો લોકરને લગતી વિગતો તેમના નોમિની અથવા કાનૂની વારસદારને ટ્રાન્સફર કરશે અથવા પારદર્શક પદ્ધતિથી સામગ્રીનો નિકાલ કરી શકશે. આ માટે RBI દ્વારા જારી કરવામાં આવેલા દિશા-સૂચનોનું પાલન કરવાનું રહેશે.

( Source – Divyabhaskar )