સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું...:ગુજરાતમાં સાત વર્ષમાં ગધેડાં 71 ટકા ઘટ્યાં; કૂતરાંની 73%, ગાયની સંખ્યામાં 3.50%નો ઘટાડો
પરિવહનમાં ઉપયોગ ઘટતાં ગધેડાં, ઊંટની સંખ્યા ઘટી
રાજ્યમાં છેલ્લાં સાત વર્ષમાં ગધેડાની સંખ્યામાં ઘટાડો થયો છે. આ માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં આપી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે માત્ર ગધેડાં જ નહીં પણ ડુક્કર, કૂતરાં સહિતનાં વિવિધ પશુઓની સંખ્યા ઘટી છે. 7 વર્ષમાં કૂતરાંની સંખ્યા 2.53 લાખથી ઘટી 66 હજાર એટલે કે 74 ટકા જેટલી ઘટી ગઈ છે જ્યારે ખચ્ચર-ગધેડાંની સંખ્યા 39 હજારથી ઘટીને 11 હજાર એટલે કે 71 ટકા ઘટી ગઈ છે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નના જવાબમાં રાજ્યમાં કયાં-કયાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો તેની માહિતી રજૂ કરી. પશુપાલન મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2019માં યોજાયેલા 20મા લાઇવસ્ટોક સેન્સસ મુજબ ગાય, બકરાં, ખચ્ચર-ગધેડાં, ઊંટ, ડુક્કર, સસલાં અને કૂતરાંઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કયાં કારણે થયો છે તે મામલે મંત્રીએ જણાવ્યું કે આ મામલે ચોક્કસ અભ્યાસ થયો નથી, પરંતુ પરિવહનમાં ઉપયોગ ઘટતાં ગદર્ભ અને ઊંટની સંખ્યા ઘટી છે.
આ ઉપરાંત વસતી નિયંત્રણના કારણે શ્વાન અને ડુક્કરની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે ગૃહને વધુમાં જણાવ્યું કે લોકોપયોગી પશુઓની જાળવણી અને સંવર્ધન માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, લાઇવસ્ટોક સેન્સસ 2019 મુજબ રાજ્યમાં કુલ પશુઓની સંખ્યા 268.73 લાખ નોંધાઈ છે.
રાજ્યમાં 12 વર્ષમાં દૂધાળાં પશુઓની સંખ્યામાં 29.52 લાખનો વધારો
18મી લાઇવસ્ટોક સેન્સસ (2007) | 19મી લાઇવસ્ટોક સેન્સસ (2012) | 20મી લાઇવસ્ટોક સેન્સસ (2019) | 18ની તુલનામાં 19માં વધારો |
19ની તુલનામાં 20માં વધારો |
93.72 લાખ | 114.44 લાખ | 123.24 લાખ | 22.10% | 7.69% |
વર્ષ 2012ની તુલનામાં 2019માં રાજ્યમાં ગાયોની સંખ્યામાં 3.50 લાખનો ઘટાડો
વિગત | 19મી લાઇવ સ્ટોક સેન્સસ (2012) | 20મી લાઇવ સ્ટોક સેન્સસ (2019) | ઘટાડાની ટકાવારી |
ગાય | 99,83,953 | 96,33,637 | -3.51% |
બકરાં | 49,58,972 | 48,67,744 | -1.84% |
ખચ્ચર-ગધેડાં | 38993 | 11291 | -71.04% |
ઊંટ | 30415 | 27620 | -9.19% |
ડુક્કર | 4279 | 658 | -84.62% |
સસલા | 8,658 | 6,978 | -19.40% |
કૂતરા | 2,53,312 | 65901 | -73.98% |
( Source - Divyabhaskar )